ભાજપનો ડખો : ગડકરીએ અડવાણીના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો
સૂત્રો તરફથી મળી રહેલા અહેવાલ અનુસાર ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી પ્રચાર સમિતીનો હવાલો નરેન્દ્ર મોદીને બદલે નીતિન ગડકરીને સોંપવાના પક્ષમાં હતા, પણ નીતિન ગડકરીએ આ જવાબદારી સ્વીકારવાની ના કહી છે. આ અંગે ગડકરીએ જણાવ્યું કે પાર્ટીએ પહેલાથી જ આ માટે નરેન્દ્ર મોદીનું નામ નક્કી કરી દીધું છે.
આ સમગ્ર બાબત અંગે રાજકીય ક્ષેત્રે આ સમગ્ર પ્રકરણને અડવાણી અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે વધી રહેલા અંતર તરીકે જોવામાં આવી રહ્યું છે. કહેવામાં આવે છે કે આ મુદ્દે ગડકરીને મનાવવા માટે અડવાણીએ અનેકવાર તેમની મુલાકાત લીધી હતી અને તેમને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. તેમણે ગડકરીને ત્યાં સુધી જણાવ્યું કે અધ્યક્ષ પદેથી દૂર કરવા માટે પાર્ટીના જ એક નેતાએ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગડકરીની કંપની પર દરોડા પડ્યા ત્યાર બાદ તેમને પક્ષ પ્રમુખ પદેથી દૂર કરવા માટે અડવાણીએ જ સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. ભાજપનો આ આંતરિક કલેક વર્ષ 2014ની લોકસભા ચૂંટણીઓમાં પણ પક્ષ માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.