ટ્વીટર પર ગૌરી લંકેશની મજાક ઉડાવનારને ફોલો કરે છે PM?
ટ્વીટર પર ગૌરી લંકેશની હત્યા બાદ આ ઘટનાની મજાક ઉડાવનારને પીએમ મોદી ફોલો કરી રહ્યા હોવાની વાતે હોબાળો, ભાજપે કરી સ્પષ્ટતા
કર્ણાટકના બેંગલુરુમાં વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશની હત્યા બાદ સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સ દ્વારા અને ઘટનાની મજાક ઉડાવવામાં આવી હતી અને કેટલીક જગ્યાઓએ અભદ્ર ભાષાનો ઉપયોગ પણ થયો હતો. આને કારણે એક નવો વિવાદ ઊભો થયો છે. એવા કેટલાક લોકો જે ગૌરી લંકેશની હત્યાનો ઉપહાસ કર્યો હતો અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફોલો કરી રહ્યાં છે. પીએમ મોદી આવા લોકોને શા માટે ફોલો કરી રહ્યાં છે, એ અંગે સવાલો કરવામાં આવી રહ્યાં છે. આ આખા વિવાદ પર ભાજપના રાષ્ટ્રીય આઇટી હેડ અમિત માલવિયાએ સફાઇ આપી છે.
PM કોઇને અનફોલો કે બ્લોક નથી કરતા
આ સમગ્ર પ્રકરણ પર અમિત માલવિયાએ નિવેદન જાહેર કરતાં કહ્યું છે કે, 'ટ્વીટર પીએમ કોને ફોલો કરે છે, એ અંગે જે વિવાદ ઊભો કરવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે વિકૃત અને તોફાનીભર્યું કૃત્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકમાત્ર એવા નેતા છે, જે સોશિયલ મીડિયા પર લોકો સાથે સરળતાથી સંપર્કમાં રહે છે અને તેમની સાથે સંવાદ સ્થાપિત કરે છે. તેઓ સાધારણ લોકોને પણ ફોલો કરે છે અને ઘણીવાર તેમની સાથે કેટલાક મુદ્દાઓ પર વાત પણ કરે છે. તેઓ એક એવા નેતા છે, જે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું સન્માન કરે છે અને તેઓ ક્યારેય ટ્વીટર પર કોઇને અનફોલો કે બ્લોક નથી કરતા. અમારી પાસે ઘણા એવા ઉદાહરણ છે, જે સોશિયલ મીડિયા પર અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને રોકે છે અને એમાં પૂર્વ વડાપ્રધાનના પીએમઓ હેન્ડલનો પણ સમાવેશ થાય છે.'
રાહુલ ગાંધી અને કેજરીવાલને પણ ફોલો કરે છે PM
'વડાપ્રધાન કોઇને ફોલો કરતા હોય, એનો અર્થ એ નથી કે પીએમ એ વ્યક્તિને ફોલો કરે છે માટે એને ચારિત્ર્યનું પ્રમાણપત્ર મળી ગયું છે. પીએમ કોઇને ફોલો કરે છે, આથી એ વ્યક્તિ ઉમદા વર્તન કરશે એની પણ કોઇ ગેરંટી નથી. પીએમ મોદી રાહુલ ગાંધીને પણ ફોલો કરે છે, જેઓ પીએમ પર લૂંટ અને દગાબાજીનો આરોપ મુકે છે. પીએમ મોદી તો અરવિંદ કેજરીવાલને પણ ફોલો કરે છે અને ભાજપના પૂર્વ કાર્યકર્તા પાર્થેશ પટેલને પણ ફોલો કરે છે. પાર્થેશ પટેલ ભાજપ છોડીને કોંગ્રેસ સાથે જોડાયા છે અને પીએમ વિરુદ્ધ અભદ્રમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે.'
એકતરફી દલીલ
'આ દલીલો માત્ર એક જ વ્યક્તિ પર કેન્દ્રિત છે. રાહુલ ગાંધીને ક્યારેય સવાલ કરવામાં નથી આવ્યો કે તેઓ કેમ તહસીન પૂનાવાલાને ફોલો કરે છે. તેઓ પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે. કેજરીવાલને પણ ક્યારેય આવો સવાલ કરવામાં નથી આવ્યો, જ્યારે કે તેમના સમર્થકો તો ગાળો આપે છે અને બળાત્કારની ધમકી પણ આપે છે. માટે આ દલીલ હાસ્યાસ્પદ અને નકલી છે.'