નવી દિલ્હી, 26 એપ્રિલ : લોકસભા ચૂંટણી 2014ના અંતિમ તબક્કામાં છે ત્યારે વડાપ્રધાન અને કોંગ્રેસના નેતા મનમોહન સિંહના સૌતેલા ભાઇ દલજીતસિંહ કોહલીએ ભાજપમાં જોડાઇને મોટો વિવાદ ઉભો થયો છે. આ અંગે મનમોહન સિંહના ભત્રીજા મનદીપ સિંહ કોહલીએ આરોપ લગાવ્યો છે કે ભાજપે દલજીતને પાર્ટીમાં લઇને કોઇ મોટી ડીલ ફાઇનલ કરી છે.
આ અંગે એક ટેલિવિઝન ચેનલ પર મનદીપ સિંહ કોહલીએ જણાવ્યું કે એ બાબતની કોઇ માહિતી નથી કે ભાજપે દલજીત સિંહને કેટલા પૈસા આપ્યા છે, પરંતુ ડીલ થઇ છે એટલું પાક્કું છે. આ સોદો કોઇ ખાસ પદ કે હોદ્દો આપવા અંગે પણ હોઇ શકે છે.
મનદીપે જણાવ્યું છે કે ભાજપ તરફથી તેમને અને તેમના પરિવારજનોને પણ ઓફર કરવામાં આવી હતી. પરંતુ અમે આ ઓફરને નકારી દીધી હતી.
મનદીપ પોતાના કાકા દલજીત સિંહના ભાજપમાં જોડાવાથી અત્યંત નારાજ છે. તેમણે જણાવ્યું કે ભાજપમાં જોડાયેલા કાકા સાથે તેમણે સંબંધોનો અંત લાવી દીધો છે. મનદીપે જણાવ્યું કે મનમોહન અને દલજીતના સંબંધો ખૂબ સારા હતા. પરંતુ સોદો કરીને ભાજપે ખોટું કામ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે દલજીત કોહલીએ અમૃતસરમાં એક જનસભામાં ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું. ચૂંટણી સમયે જ પીએમ મનમોહન સિંહના સોતેલા ભાઇ ભાજપમાં જવાથી કોંગ્રેસ માટે સ્થિતિ અત્યંત અસહજ અને અસ્વીકાર્ય બની ગઇ છે.આ દરમિયાન એવા અહેવાલો પણ છે કે ભાજપ સાથેની ત્રણ કરોડની ડીલ બાદ દલજીત સિંહ કોહલી પક્ષમાં જોડાયા છે. પીએમના ભત્રિજા મનદિપે દલજીત સિંહના આ પગલાની ટીકા કરી હતી. જોકે તેમણે કહ્યું કે અખબારોમાં ત્રણ કરોડની ડીલની વાત ખોટી છે.
મોદીએ સ્ટેજ પર દલજીત સિંહને ભેટીને ભાજપમાં આવકાર આપ્યો હતો. પંજાબમાં લોકસભાની ચૂંટણી માટે 30 એપ્રિલે મતદાન છે ત્યારે દલજીત સિંહને ભાજપમાં સામેલગીરી મોદીના માસ્ટરસ્ટ્રોક તરીકે ગણવામાં આવે છે.
પંજાબના મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલે કહ્યું કે દલજીત સિંહ કોહલી બરાબર જાણે છે કે સોનિયા ગાંધીએ શું કર્યું છે તે છતાં તેમણે ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું છે. મોદીએ કહ્યું કે, કોહલીના જોડાવાથી ભાજપની તાકાત બમણી થઈ જશે. અમારો તેમને ખરા દિલથી આવકાર છે.
મનમોહન સિંહના પિતા ગુરુમુખ સિંહ કોહલીએ ત્રણ લગ્ન કર્યા હતા. મનમોહન તેમની પ્રથમ પત્નીથી થયા હતા. જ્યારે દલજીત સિંહ ત્રીજી પત્નીથી થયા હતા. દલજીત સિંહ અમૃતસરમાં પિસ્ટનના વેપાર સાથે સંકળાયેલા છે.