CM ભગવંત માનના ઘર પાસે મળ્યો બોમ્બ, સમગ્ર વિસ્તારમાં વધારાઇ સુરક્ષા
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઘરથી થોડે દૂર સોમવારના રોજ બોમ્બ મળી આવતા હોબાળો મચી ગયો હતો. આ ઘટનાની જાણકારી મળતા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ ઉતાવળમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ચંદીગઢ : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઘરથી થોડે દૂર સોમવારના રોજ બોમ્બ મળી આવતા હોબાળો મચી ગયો હતો. આ ઘટનાની જાણકારી મળતા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ ઉતાવળમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાનનું હેલિપેડ ઘટનાસ્થળની નજીક છે, તેથી તેમની સુરક્ષામાં આ એક મોટો ભંગ માનવામાં આવે છે. આ સાથે નજીકમાં જ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું ઘર પણ છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ચંદીગઢના સેક્ટર 2ના કોઠીથી થોડે દૂર રાજિન્દ્રા પાર્ક પાસે એક રાહદારીએ બોમ્બનો શેલ જોયો હતો.
તેમણે તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરી હતી. ઘટના સ્થળે હાજર જવાનોએ શેલની આસપાસ રેતીની થેલીઓ મૂકી અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવી હતી. આ ઘટનાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ ત્યાં સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ આ ઘટના અંગે ભારતીય સેનાને પણ જાણ કરવામાં આવી છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના નોડલ ઓફિસર સંજીવ કોહલીએ જણાવ્યું હતું કે, આ ઘટના સ્થળેથી એક જીવતો બોમ્બ મળી આવ્યો છે. પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની મદદથી તેને સુરક્ષિત કરવામાં આવ્યો હતો. સેનાની ટીમ બોલાવવામાં આવી છે. વિસ્તારને કોર્ડન કરવામાં આવી રહ્યો છે. પોલીસ ટીમ આ મામલે તપાસ કરી રહી છે.
સરહદ પર ડ્રોન મળ્યું
બીજી તરફ ભારત-પાકિસ્તાન સરહદના અમૃતસર સેક્ટરમાં સોમવારના રોજ એક ડ્રોન ઝડપાયું હતું. જ્યારે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ તેની તપાસ કરી, તો તેમની પાસેથી હેરોઈનનું પેકેટ મળી આવ્યું હતું. આ ડ્રોન પાકિસ્તાનથી મોકલવામાં આવ્યું હતું. હાલ આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.