યુપીમાં ચોથા તબક્કા માટે બસપા સુપ્રીમો માયાવતીએ કર્યુ મતદાન, કહ્યુ - યુપીની જનતાએ સપાને નકારી દીધી
બહુજન સમાજ પાર્ટી(બસપા) સુપ્રીમો માયાવતીએ લખનઉ સ્થિત મતદાન કેન્દ્ર પહોંચીને પોતાનો મત આપ્યો.
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં આજે ચોથા તબક્કા માટે 9 જિલ્લાની 59 સીટો પર મતદાન સવારે 7 વાગ્યાથી શરુ થઈ ગયુ છે જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આ દરમિયાન બહુજન સમાજ પાર્ટી(બસપા) સુપ્રીમો માયાવતીએ લખનઉ સ્થિત મતદાન કેન્દ્ર પહોંચીને પોતાનો મત આપ્યો. મત આપ્યા બાદ માયાવતીએ મીડિયા સાથે વાત કરીને સમાજવાદી પાર્ટી પર જોરદાર હુમલો કર્યો. માયાવતીએ કહ્યુ, 'યુપીના લોકોએ મત આપતા પહેલા જ સપાને નકારી દીધુ છે કારણકે સપાને મત આપવાનો અર્થ છે ગુંડા રાજ, માફિયા રાજ.'

માયાવતીએ મતદારોને મત આપવાની પણ અપીલ કરી છે. તેમણે મતદારોને અપીલ કરીને કહ્યુ કે લોકતંત્રનો ઉત્સવ છે, પોતાનો મત આપવા માટે ઘરમાંથી બહાર જરુર નીકળવુ જોઈએ. તમારો એક-એક વોટ કિંમતી છે. આ દરમિયાન મીડિયા સાથે વાત કરીને માયાવતીએ કહ્યુ કે લઘુમતી લોકો સપાની કાર્યશૈલીથી ખૂબ દુઃખી છે. સપા જે સરકાર બનાવવાનુ સપનુ જોઈ રહી છે તેનુ સપનુ ચકનાચૂર થઈ જશે. જ્યારે-જ્યારે સમાજવાદી પાર્ટી સત્તામાં રહી છે, એ દરમિયાન સૌથી વધુ ઉત્પીડન દલિતો અને પછાતોનુ થયુ છે.
બસપાને એકલા બધા વર્ગોના મત મળી રહ્યા છે. ભાજપ, સપા જીતનો દાવો કરી રહ્યા છે, ક્યાંક એવુ ના બને કે તેમના દાવા ઠેરના ઠેર રહી જાય. જ્યારે પરિણામ આવશે ત્યારે બસપાને 2007ની જેમ પૂર્ણ બહુમત મળશે. આ દરમિયાન માયાવતીએ સમાજવાદી પાર્ટીને આડે હાથ લઈને કહ્યુ કે સમાજવાદી પાર્ટીથી ખુશ નથી મુસલમાન, એ તેમને વોટ નહિ આપે. યુપીના લોકોએ વોટ આપતા પહેલા જ સપાને નકારી દીધી છે કારણકે સપાને વોટ આપવાનો અર્થ ગુંડા રાજ, માફિયા રાજ છે. સપા સરકારમાં થયેલા હુલ્લડો સપા નેતાઓના ચહેરા બતાવે છે કે તે સત્તામાં નથી આવી રહ્યા.
વળી, સતીષચંદ્ર મિશ્રાએ પોતાના પરિવાર સાથે ચોથા તબક્કા માટે મતદાન કર્યુ. મતદાન કર્યા બાદ તેમણે કહ્યુ કે બહુજન સમાજ પાર્ટી પૂર્ણ બહુમત તરફ અગ્રેસર છે, આ વખતે પણ 2007ની જેમ પૂર્ણ બહુમતની સરકાર બનવાનુ નિશ્ચિત થઈ ચૂક્યુ છે.












Click it and Unblock the Notifications
