સરકાર કાર્યકર્તાઓની ધરપકડ કરીને દેશમાં આતંક અને ડર ફેલાવી રહી છેઃ બસપા
બસપાનું કહેવુ છે કે ભાજપ સરકાર ભ્રષ્ટાચાર સામે લડી રહેલા દલિત, આદિવાસીઓને દબાવવા માટે સત્તાની તાકાતનો ખોટો ઉપયોગ કરી રહી છે.
મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવ હિંસા મામલે મંગળવારે દેશભરમાં તાબડતોબ રેડ પાડીને માઓવાદીઓ સાથે સંપર્ક રાખવાની શંકામાં લગભગ 5 ડાબેરી વિચારકોની ધરપકડ કરવામાં આવી. આ પાંચે કાર્યકર્તાઓની ધરપકડનો લોકો વિરોધ કરી રહ્યા છે. બુધવારે બહુજન સમાજ પાર્ટીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા. બસપાનું કહેવુ છે કે ભાજપ સરકાર ભ્રષ્ટાચાર સામે લડી રહેલા દલિત, આદિવાસીઓને દબાવવા માટે સત્તાની તાકાતનો ખોટો ઉપયોગ કરી રહી છે.
બસપા તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે દેશમાં દલિતો, જનજાતિઓ અને નીચલા સમાજોના ઉત્પીડન સામે અદાલતમાં લડતા કાર્યકર્તાઓની ધરપકડ કરીને સરકાર આતંક અને ડર ફેલાવી રહી છે. ભાજપ દ્વારા સત્તાની તાકાતનો દૂરુપયોગ કરવામાં આવી રહ્યો છે. વળી, ભીમા-કોરેગાંવ હિંસા મામલે સામાજિક કાર્યકર્તા ગૌતમ નવલખાની ધરપકડ પર હાઈકોર્ટે સવાલ કર્યો છે. દિલ્હી હાઈકોર્ટે પૂછ્યુ કે પૂણે પોલિસ જણાવે કે કયા ઠોસ પુરાવાઓના આધાર પર આમની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ડાબેરીઓની ધરપકડ પર અરુંધતિ રોયઃ 'દેશમાં કટોકટીની ઘોષણા થવાની છે'
આ મામલે રાજદ પ્રમુખ લાલુ યાદવે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે આ દેશ તાનાશાહી તરફ આગળ વધી રહ્યો છે. પાંચ બુદ્ધિજીવીઓની ધરપકડ કરવી દર્શાવે છે કે દેશ કટોકટી તરફ આગળ વધી રહ્યો છે. હું તેમની નિંદા કરુ છુ. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના પૂણે સ્થિત ભીમા-કોરેગાંવમાં આ વર્ષની શરૂઆતમાં ભડકેલી હિંસા મામલે પૂણે પોલિસે ઘણા શહેરોમાં એક સાથે રેડ પાડીને કવિ અને ડાબેરી બુદ્ધિજીવી વરવરા રાવ, ફરીદાબાદથી સુધા ભારદ્વાજ અને દિલ્હીથી ગૌતમ નવલખાની ધરપકડ કરી છે. વળી, થાણેથી અરુણ ફરેરા અને ગોવાથી બર્નન ગોંઝાલવિસની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ ડાબેરીઓની ધરપકડ પર ભડક્યા રાહુલઃ દેશમાં માત્ર એક જ એનજીઓ RSS માટે જગ્યા
આ પહેલા પોલિસે આ મામલે જૂન, 2018 માં ધરપકડ કરાયેલ એકના ઘરેથી પીએમ નરેન્દ્ર મોદીની હત્યાના ષડયંત્ર સાથે જોડાયેલ એક પત્ર જપ્ત કર્યો હતો. જેમાં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની જેમ મોદીને પણ નિશાન બનાવવાની વાત કહી હતી. આ પત્રથી જ વરવરા રાવનું નામ સામે આવ્યુ હતુ.