BSP યુપીમાં કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે-માયાવતી
2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા યુપીના પૂર્વ સીએમ અને બસપા સુપ્રીમો માયાવતીએ એક મોટી જાહેરાત કરી છે.
લખનઉ, 09 નવેમ્બર : 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા યુપીના પૂર્વ સીએમ અને બસપા સુપ્રીમો માયાવતીએ એક મોટી જાહેરાત કરી છે. માયાવતીએ કહ્યું કે બહુજન સમાજ પાર્ટી (BSP) 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં અન્ય કોઈપણ પક્ષ સાથે કોઈ ગઠબંધન કરશે નહીં. બસપા પોતાના દમ પર વિધાનસભા ચૂંટણી લડશે.
પૂર્વ સીએમ માયાવતીએ લખનૌમાં બહુજન સમાજ પાર્ટીના કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન માયાવતીએ કહ્યું કે, યુપીની ચૂંટણી નજીક આવતા જ ભાજપ અને અન્ય તમામ વિપક્ષી પાર્ટીઓનું નાટક રાજ્યની જનતાને દરેક રીતે લલચાવવાનું શરૂ કરી દીધું છે. માયાવતીએ કહ્યું કે કેન્દ્ર અને યુપીમાં ભાજપ સરકાર ચૂંટણી નજીક આવતા જ સરકારી યોજનાઓનો શિલાન્યાસ કરી રહી છે અને ઉદ્ઘાટન કરી રહી છે. આ યોજનાઓ અધુરી છે. લોકો તેની જાળમાં ફસાશે નહીં.
માયાવતીએ કહ્યું કે, બસપા સિવાય અહીંના તમામ વિપક્ષી દળોએ અત્યાર સુધી જનતાને જાહેરાતો અને વચનો આપ્યા છે. આ તેમના માટે ઘણા પ્રશ્નો પણ ઉભા કરે છે. સમાજવાદી પાર્ટીની જેમ કોંગ્રેસ પાર્ટી પણ રાજ્યની જનતાને જે પ્રકારના ચૂંટણી વચનો આપે છે તેના પર વિશ્વાસ કરવાના નથી. માયાવતીએ કહ્યું કે, જો કોંગ્રેસ પાર્ટીએ સત્તામાં રહીને તેના 50 ટકા વચનો પણ પૂરા કર્યા હોત તો આજે તે કેન્દ્રમાં સત્તાથી બહાર ન હોત. માયાવતીએ કહ્યું કે જનતા સપાના ચૂંટણી વચનો પર વિશ્વાસ નહીં કરે અને તેમને વોટ પણ નહીં આપે.
ભાજપ પર કટાક્ષ કરતા માયાવતીએ કહ્યું કે, જે રીતે પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરરોજ રેકોર્ડ તોડીને વધી રહી છે અને દેશમાં જે રીતે મોંઘવારી વધી છે આ બધું જનતા સરળતાથી ભૂલી શકે તેમ નથી. હવે ટૂંક સમયમાં ઘણા રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં હારના ડરને કારણે, તેઓએ (ભાજપ) ભાવમાં થોડો ઘટાડો કર્યો છે, તે પછી આ પક્ષ (ભાજપ) પણ જનતા પાસેથી વ્યાજ સાથે તેને વસૂલ કરશે. ચૂંટણીમાં આ વાત પણ જનતાએ ધ્યાનમાં રાખવી જોઈએ.
ઉલ્લેખનિય છે કે, ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ સહિતના તમામ પક્ષોએ વચનો આપવાનું શરૂ કર્યુ છે ત્યારે માયાવતીનું આ મહત્વનું નિવેદન સામે આવ્યુ છે. હવે આગળ કઈ દિશામાં રાજનીતિ જાય છે તે જોવાનું રહે છે.