Budget 2023 : નાણાંમંત્રીએ બજેટને અમૃતકાળનું પહેલુ બજેટ ગણાવ્યુ, અર્થતંત્રનો વિકાસ દર 7 ટકા રહેવાનો અંદાજ
બજેટ રજુ કરતા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આઝાદીના અમૃતકાળનું આ પહેલું બજેટ છે. આ બજેટ અગાઉના બજેટમાં નંખાયેલા પાયાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયુ છે.
નવી દિલ્હી : નિર્મલા સીતારમણે દેશની સંસદમાં 2023-24 માટેનું સામાન્ય બજેટ રજુ કર્યુ છે. બજેટ રજુ કરતા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આઝાદીના અમૃતકાળનું આ પહેલું બજેટ છે. આ બજેટ અગાઉના બજેટમાં નંખાયેલા પાયાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયુ છે. બજેટને India@100 માટે નિર્ધારિત બ્લૂપ્રિન્ટને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયુ છે. તેમણે કહ્યું કે, આપણે એક સમૃદ્ધ અને સર્વસમાવેશક ભારતની કલ્પના કરી રહ્યાં છીએ, જેમાં વિકાસના લાભ દેશના દરેક નાગરિક સુધી પહોંચે.

બજેટ રજુ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, વર્તમાન નાણાકીય વર્ષ-2023 માટે અર્થવ્યવસ્થાનો વિકાસ દર 7% રહેવાનો અંદાજ છે, જે વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આગળ કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા સાચા માર્ગ પર છે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે.
નાણાંમંત્રીએ આગળ જણાવ્યું કે, અમૃત કાલમાં રજૂ કરવામાં આવેલા બજેટનું વિઝન તમામ નાગરિકોને સુવિધા આપવાનું છે. 2014 થી સરકારના પ્રયાસોએ તમામ નાગરિકોના જીવનની સારી ગુણવત્તા અને ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કર્યું છે. માથાદીઠ આવક વધી છે. આ 9 વર્ષમાં ભારતીય અર્થતંત્ર વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે વિકસ્યું છે.
નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં આગળ કહ્યું કે, આપણો આર્થિક એજન્ડા દેશના દરેક નાગરિક માટે તકો ઉપલબ્ધ કરાવવા, વૃદ્ધિ અને રોજગાર સર્જનને વેગ આપવા અને મેક્રો ઇકોનોમિક સ્થિરતાને મજબૂત કરવા પર કેન્દ્રિત છે. સરકાર કૃષિ સંબંધિત સ્ટાર્ટ અપને પ્રાથમિકતા આપશે. યુવા ઉદ્યોગ સાહસિકો દ્વારા એગ્રી-સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા માટે એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડની સ્થાપના કરાશે.
અહીં તેમણે બજેટની 7 પ્રાથમિકતાઓ જણાવી હતી. જેમાં સમાવેશી વિકાસ, છેલ્લા માણસ સુધી પહોંચ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્વેસ્ટમેન્ટ, સંભાવનાઓને ઉજાગર કરવી, ગ્રીન ગ્રોથ, યુવા શક્તિ અને નાણાકીય ક્ષેત્રનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
