કેન્દ્રીય મંત્રીમંડળની પુનર્રચના રવિવારે થઇ શકે
રાજકીય પંડિતોનું માનવું છે કે વડાપ્રધાન રવિવારે થનારી પ્રધાન મંડળની પુનર્રચનામાં કેટલાક અણગમતા ચહેરાઓનું સ્થાન પણ અન્ય પ્રધાનોને સોંપાશે. જેમાં એનસીપીના સ્થાપક પુર્ણો સંગ્માના પુત્રી અગાથા સંગ્માનું સ્થાન કદાચ હવે એનસીપીના તારિક સંગ્મા અનવરને સોંપાશે. પૂર્ણો સંગ્માએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી.
તેમને વિરોધ પક્ષોએ ટેકો આપ્યો હતો પણ શરદ પવાર અને સંગ્મા બંને નેશનલીસ્ટ કોંગ્રેસ પાર્ટીના સ્થાપક હોવા છતાં એનસીપી સરકારની સાથે હોવાથી શરદ પવારે સંગ્માને ટેકો આપવાને બદલે ખસી જવા આગ્રહ કર્યો હતો. સંગ્માએ ચૂંટણી લડી લેવાની મક્કમતા દાખવીને એનસીપી છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. સંગ્માએ જુલાઇમાં એનસીપીમાંથી રાજીનામું આપી દીધું હતું.
ગત મહિને મમતા બેનર્જીએ સરકારમાંથી નીકળી જવાનો નિર્ણય કરતા તૃણમૂલના પ્રધાનોએ રાજીનામાં ધરી દીધાં હતાં. તેમના સ્થાને હવે બંગાળ કોંગ્રેસમાંથી ત્રણ કે ચાર સાંસદોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. જેથી બંગાળનું યોગ્ય પ્રતિનિધિત્વ જળવાઇ રહે. મમતા બેનર્જીના પક્ષના કેન્દ્રમાં છ પ્રધાનો હતા. તેમાં જેના નામ હવામાં ચર્ચાઇ રહ્યા છે.
ચર્ચિત નામોમાં કોંગ્રેસના જ પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રિયરંજનદાસ મુન્શીના પત્નિ દીપા દાસ મુન્શીનું નામ પણ બોલાય છે. પ્રિયરંજન દાસ મુન્શી કેટલાક વર્ષો પૂર્વે પેરેલિટિક સ્ટ્રોકનો ભોગ બન્યા હતા. તે ઉપરાંત વિલાસરાવ દેશમુખનું ગત ઓગસ્ટમાં અવસાન થતા તેમની ખાલી પડેલી જગ્યા પર મહારાષ્ટ્રના જ કોઇ કોંગ્રેસી નેતાને મુકવામાં આવે તેવી શકયતા છે.
સરકારના સાથી પક્ષ તામિલનાડુના ડી.એમ.કે. ને ફાળવાયેલા પ્રધાનપદો પૈકી એ. રાજા તેમજ દયાનિધિ મારનની બેઠકો તેમના પર ૨જી સ્પેકટ્રમ ફાળવણીમાં ભ્રષ્ટાચારના આરોપો, બાદમાં રાજીનામાને પગલે ખાલી પડેલી છે. જો કે પક્ષના વડા કરૃણાનિધિએ તાજેતરમાં એવો મત વ્યકત કર્યો હતો કે તેમના પક્ષને હવે ગુમાવેલી બેઠકો પર દાવો કરવામાં રસ નથી.
સરકારે હજી આ સપ્તાહાંતે પ્રધાન મંડળની પૂનર્રચના કરવાની જાહેરાત કરવાની બાકી છે પણ પાટનગરમાં તેનો ધમધમાટ વર્તાઈ રહ્યો છે. ગત સપ્તાહે વડા પ્રધાન મનમોહન સિંહ તેમજ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે બેઠકો યોજી હતી. રાહુલ ગાંધી પણ રાષ્ટ્રપતિને મળ્યા હતા. રાહુલ ગાંધીના શીરે પણ મહત્વની જવાબદારી નાંખવામાં આવે તેવી શકયતા જણાય છે.