કેન્દ્રએ પંજાબ સરકારની ઉમ્મીદ પર પાણી ફેરવ્યું, ગ્રામીણ વિકાસ ફંડ આપવાનો કર્યો ઈનકાર
પંજાબ સરકારને કેન્દ્ર સરકારે રાજ્યને ગ્રામીણ વિકાસ ફંડ આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.
પંજાબની માન સરકારને મોટો ઝાટકો આપતાં કેન્દ્ર સરકારે રાજ્યને ગ્રામીણ વિકાસ ફંડ આપવાનો ઈનકાર કરી દીધો છે. કેન્દ્ર દ્વારા રાજ્યને 2880 કરોડ રૂપિયાના ગ્રામીણ વિકાસ ફંડ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવી રાજ્ય સરકારને ઉમ્મીદ હતી પરંતુ કેન્દ્ર સરકારે પંજાબ સરકારની આ ઉમ્મીદો પર પાણી ફેરવી દીધું છે. જાણકારી મુજબ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મુખ્યમંત્રી ભગવંત માનને પત્ર લખી આ વિશે જાણકારી આપી છે.
જણાવી દઈએ કે પંજાબના મુખ્યમંત્રીએ 23 જુલાઈ અને 19 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને એક પત્ર લખ્યો હતો. જેમાં રાજ્યના ગ્રામીણ વિકાસ ફંડ જાહેર કરવાની અપીલ કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ પોતાના પત્રમાં લખ્યું કે વિભાગીય નિયમો મુજબ આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી દ્વારા પંજાબને સ્ટેચુરી ચાર્જિસ ઘટાડવાની પણ સલાહ આપવામાં આવી છે.
આ મામલે નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ કહ્યું કે કેન્દ્રના ભેદભાવ વિરુદ્ધ અમે ચુપ નહી બેસીએ. તેમણે કહ્યું કે કેન્દ્રની શરત અંતર્ગત રાજ્ય સરકારે ગ્રામીણ વિકાસ એક્ટમાં સંશોધન પણ કરી દીધું હતું અને હવે આનાકાની કરવાનો મતલબ છે કે કેન્દ્ર સરકાર કૃષિના માળખાને તબાહ કરવા માંગે છે.