કેન્દ્ર સરકારે આગામી તહેવારો માટે જાહેર કરી કોવિડ ગાઇડલાઇન્સ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારના રોજ દેશમાં આગામી તહેવારોની સિઝન માટે ઓક્ટોબરથી નવેમ્બર સુધી માર્ગદર્શિકા જારી કરી છે. એક પ્રેસ બ્રિફિંગમાં કેન્દ્રીય સચિવ (આરોગ્ય) રાજેશ ભૂષણે જણાવ્યું હતું.
નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારના રોજ દેશમાં આગામી તહેવારોની સિઝન માટે ઓક્ટોબરથી નવેમ્બર સુધી માર્ગદર્શિકા જારી કરી છે. એક પ્રેસ બ્રિફિંગમાં કેન્દ્રીય સચિવ (આરોગ્ય) રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, ભારતમાં કોવિડ 19 ની બીજી લહેર હજૂ સમાપ્ત થઈ નથી અને કેટલાક રાજ્યોમાં સંક્રમણ વધવાના કારણે છૂટછાટ આપવા સામે ચેતવણી આપી છે. આરોગ્ય મંત્રાલયે લોકોને તહેવારોની સિઝન પહેલા સાવચેતી રાખવા જણાવ્યું હતું.
5 ટકાથી વધુ પોઝિટિવિટી રેટ ધરાવતા કન્ટેનમેન્ટ ઝોન અને જિલ્લામાં સામૂહિક મેળાવડા ટાળવા જણાવ્યું
રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, 21 મી સપ્ટેમ્બર, 2021 નાઆરોગ્ય મંત્રાલયના પરિપત્ર સાથે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે વિગતવાર માનક પ્રક્રિયા (SOP) જાહેર કરવામાં આવી હતી. મંત્રાલયે 5 ટકાથી વધુ પોઝિટિવિટી રેટ ધરાવતા કન્ટેનમેન્ટ ઝોન અને જિલ્લામાં સામૂહિક મેળાવડા ટાળવા જણાવ્યું હતું. તહેવારોની સિઝનમાં લેવાતી સાવચેતીઓ અંગે કેન્દ્ર દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિગતવાર SOP જાહેર કરવામાં આવી છે.
સાપ્તાહિક પોઝિટિવિટી રેટ સતત 12મા સપ્તાહમાં નીચે આવ્યો
કેન્દ્રીય આરોગ્ય સચિવે કહ્યું કે, સાપ્તાહિક કેસ પોઝિટિવિટી રેટના આધારે છૂટછાટ અને પ્રતિબંધો લાદવામાં આવશે. ભૂષણે વધુમાં જણાવ્યું હતું કે, મહત્વનું છે કે આપણે હજૂ પણ કોવિડ વર્તન જાળવી રાખીએ. આપણે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે, કોરોના રસીકરણના વિસ્તરણને ઝડપથી પ્રોત્સાહન આપવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, સાપ્તાહિક પોઝિટિવિટી રેટ સતત 12મા સપ્તાહમાં નીચે આવ્યો છે. જે 3 ટકા કરતા ઓછું છે.
18 વર્ષથી મોટી ઉંમરની વસ્તીમાંથી 66 ટકાને કોરોનાની ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો છે
રાજેશ ભૂષણે કહ્યું કે, દેશમાં રિકવરી રેટ વધીને 97.8 ટકા થયો છે. કેટલાક રાજ્યોમાં રસીકરણ પર જબરદસ્ત કામ કરવામાં આવ્યું છે. જેના કારણે 18 વર્ષથી મોટી ઉંમરની વસ્તીમાંથી 66 ટકાને કોરોનાની ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો છે. 23 ટકાને બંને ડોઝ મળ્યા છે.
99 ટકા આરોગ્ય કર્મચારીઓને પ્રથમ ડોઝ અને 84 ટકાને બીજી ડોઝ મળ્યો છે
સચિવે એ પણ માહિતી આપી કે, લગભગ 62 કરોડ લોકોને કોવિડ રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે, સાડા 21 કરોડ લોકોને બીજો ડોઝ મળ્યો છે. 99 ટકા આરોગ્ય કર્મચારીઓને પ્રથમ ડોઝ અને 84 ટકાને બીજી ડોઝ મળ્યો છે. ફ્રન્ટલાઈન કામદારોમાં પ્રથમ ડોઝ 100 ટકા અને 80 ટકા લોકોને બીજી ડોઝ મળ્યો છે.