તો શું સરકારની બેદરકારીનું પરિણામ છે હૈદરાબાદ બોમ્બ વિસ્ફોટ?
નવી દિલ્હી, 22 ફેબ્રુઆરીહૈદરાબાદના એકદમ ગીચ અને વ્યસ્ત દિલસુખનગર વિસ્તારમાં મોડી રાત્રે થયેલા આતંકવાદી હુમલામાં 16 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 100થી વધુ લોકો ધાયલ થયા છે. આ વિસ્તારમાં એક પછી એક શક્તિશાળી આઇઇડી વિસ્ફોટ થયા હતા. મૃતકોના આંકડાની પુષ્ટિ આજે કેન્દ્રિય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ કરી હતી. તેમને કહ્યું હતું કે 119 લોકો ઘાયલ થયા તથા છ લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઇજાગ્રસ્ત લોકોમાં કેટલાકની સ્થિતી ચિંતાજનક છે.
સાઇબરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોર્ણાક અને વેંકટાદિરી થિયેટરો નજીક એક ઢાબાની બહાર બે સાયકલો પર બાંધવામાં રાખવામાં આવેલા આઇઇડી વિસ્ફોટ વ્યસ્ત સમયે થયો હતો જ્યારે ઘટનાસ્થળે ઘણા લોકો હાજર હોવાથી અફરાતફરી મચી હતી અને લોકો સુરક્ષા માટે આમતેમ દોડધામ કરવા લાગ્યા હતા.
લગભગ છ વર્ષ બાદ હૈદરાબાદમાં થયેલા આતંકવાદી હુમલા પાછળ લશ્કર-એ-તોઇબાનો હાથ હોઇ શકે છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે આ બ્લાસ્ટ અજમલ કસાબ અને અફઝલ ગુરૂની ફાંસી વધુ લશ્કર-એ-તોઇબાના 12 આતંકવાદીઓ વિરૂદ્ધ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)ની ચાર્જશીટનો બદલો લેવા માટે હોઇ શકે છે.
બ્લાસ્ટના સમાચાર મળતાંની સાથે જ એનઆઇએ, એનએસજી અને ફોરેન્સિક વિશેષજ્ઞોની ટીમને હૈદ્રાબાદ માટે રવાના કરી દેવામાં આવી છે. ગૃહમંત્રી સુશીલ કુમાર શીંદેએ ગત બે દિવસોથી આતંકવાદી હુમલાની ગુપ્ત માહિતી મળી હોવાની વાત સ્વિકારી હતી. જેને કારણે રાજ્યોને અલર્ટ કરવામાં આવ્યા હતા.
સુરક્ષા એજન્સી સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે લશ્કર-એ-તોઇબાના જે 12 આતંકવાદી વિરૂદ્ધ બુધવારે બેગ્લોંરમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેમાંથી બે આતંકવાદી હૈદરાબાદ સાથે સંબંધ ધરાવે છે. જેમાં ઓબૈદુર્રહમાન મૂળ હૈદ્રાબાદનો રહેવાસી છે, જ્યારે નાંદેડનો અકરમ પાશા લાંબાગાળાથી હૈદ્રાબાદમાં રહેતો હતો.
સુરક્ષા એજન્સીઓ રહેમાન અને પાશા સહિત લશ્કર-એ-તોઇબાના કુલ 15 આતંકવાદીઓની ગત વર્ષે ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં ધરપકડ કરી હતી. આ આતંકવાદી પર બેંગ્લોરમાં મોટા નેતાઓને નિશાન બનાવવાનું કાવતરું રચવાના આરોપ લગાવવામાં આવ્યાં છે. માનવામાં આવે છે કે ત્યારબાદ લશ્કર આતંકવાદીઓએ બ્લાસ્ટનો નિર્ણય કર્યો.
જો કે સુરક્ષા એજન્સીઓ લાંબાગાળાથી હૈદરાબાદમાં આતંકવાદી હુમલાની આશંકા વ્યક્ત કરી રહી હતી. મુંબઇ હુમલાના આરોપી અજમલ કસાબની ફાંસી બાદ કેન્દ્રિય ગુપ્તચર એજન્સીઓએ હૈદ્રાબાદમાં આતંકવાદી હુમલાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ શહેર સુરક્ષા વધારવામાં આવી હતી. ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેના અનુસાર બુધવાર અને ગુરૂવારે ગુપ્તચર એજન્સીઓએ આતંકી હુમલા અંગે સાવચેત કર્યા હતા. તેના આધાર પર બધા રાજ્યોમાં એલર્ટ કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાં હૈદરાબાદમાં આતંકવાદી હુમલાની આશંકા વ્યકત કરવામાં આવી ન હતી. સ્પષ્ટ છે કે ગુપ્તચર વિભાગની આ પ્રકારની ઉપરછલ્લી સૂચના પર સુરક્ષા બંદોબસ્ત કરવો સંભવ ન હતો અને આતંકવાદીઓ તેનો લાભ ઉઠાવ્યો.
જો કે 2007માં ગોકુળ ચાટ અને લુંબની પાર્કમાં બોમ્બ વિસ્ફોટો બાદ હૈદરાબાદ આતંકવાદી હુમાલાથી સુરક્ષિત રહ્યું છે. ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાથી માંડીને અમદાવાદમાં જુલાઇ, 2008માં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટ પાછળ હૈદરાબાદ સાથે સંકળાયેલ લશ્કર-એ-તોઇબાના આતંકવાદીઓ હાથ રહ્યો છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે હૈદ્રાબાદમાં હજુ પણ લશ્કર-એ-તોઇબાના આ બંને આતંકવાદી પાકિસ્તાનમાં બેસીને સ્થાનિક યુવકોને આતંકવાદી સંગઠનો સાથે જોડાવાનું કામ રહી રહ્યાં હતા.