Wrestlers Protest: જંતર-મંતર પર રેસલર્સ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો અત્યાર સુધીની દરેક અપડેટ
Wrestlers Protest: ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ સામે કાર્યવાહીની માંગને લઇને દિલ્હીના જંતર-મંતર પર રેસલર્સ ધરણા કરી રહ્યા છે. આ દરમિયાન મોડી રાત્રે પોલીસ અને રેસલર્સ વચ્ચે ઘર્ષણ થયું હતું. રેસલર્સનો આરોપ છે કે, વરસાદને કારણે તેઓએ બેડ મંગાવ્યા હતા, પણ પોલીસે ધરણા સ્થળ પહેલા જ રોકી દીધી હતી.
આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. અહેવાલો અનુસાર દુષ્યંત ફોગાટ સહિત બે કુસ્તીબાજો ઘાયલ થયા છે. આવા સમયે, ફોલ્ડિંગ સાથે જંતર-મંતર પહોંચેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીને પોલીસે કસ્ટડીમાં લીધા છે. જે બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. આ ઘટના બાદ જંતર-મંતર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આવા સમયે કુસ્તીબાજ બજરંગ પુનિયાએ આરોપ લગાવ્યો છે કે, પોલીસકર્મીઓએ વિરોધ કરી રહેલી મહિલા રેસલર્સ સાથે દુર્વ્યવહાર કર્યો અને મારપીટ કરી હતી. અમને સમગ્ર દેશના સમર્થનની જરૂર છે, દરેક વ્યક્તિએ દિલ્હી આવવું જોઈએ, પોલીસ અમારી વિરુદ્ધ બળપ્રયોગ કરી રહી છે. મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવો અને બ્રિજભૂષણ વિરુદ્ધ કંઈ ન કરવું. આ સિવાય કુસ્તીબાજોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, કેટલાક બહારના લોકોએ દારૂ પીને હોબાળો મચાવ્યો હતો અને ગેરવર્તણૂક પણ કરી હતી.
રડી પડ્યા વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક - જ્યારે રેસલર વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક મોડી રાત્રે મીડિયા સાથે વાત કરતા સમયે ભાંગી પડ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તે એક સ્પોર્ટ્સપર્સન છે, જેમણે દેશનું નામ રોશન કર્યું છે, પરંતુ તેમની સાથે એક ગુનેગાર જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

આંખોમાં આંસુ સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા વિનેશ ફોગાટે જણાવ્યું હતું કે, જો તમે અમને મારવા માંગતા હોવ, તો અમને મારી નાખો. શું આપણે આ દિવસ જોવા માટે દેશ માટે મેડલ જીત્યા હતા? અમે અમારો ખોરાક પણ ખાધો નથી. શું પુરુષોને સ્ત્રીઓ સાથે ખરાબ વર્તન કરવાનો અધિકાર છે? આ પોલીસકર્મીઓ પાસે બંદૂકો છે, તેઓ અમને મારી શકે છે. વિનેશે જણાવ્યું હતું કે, મહિલા પોલીસ અધિકારીઓ ક્યાં છે?
પુરુષ અધિકારીઓ અમને આ રીતે કેવી રીતે દબાણ કરી શકે. અમે ગુનેગાર નથી. નશામાં ધૂત પોલીસ અધિકારીએ મારા ભાઈને માર માર્યો છે.
પોલીસ અધિકારીનું નિવેદન - ડીસીપી પ્રણવ તયાલે જણાવ્યું હતું કે, જંતર-મંતર પર કુસ્તીબાજોના ધરણા દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતી પરવાનગી વગર પલંગ સાથે વિરોધ સ્થળ પર પહોંચ્યા હતા. જ્યારે પોલીસે દરમિયાનગીરી કરી, ત્યારે સમર્થકો આક્રમક બની ગયા હતા.
ટ્રકમાંથી બેડ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી નજીવી બોલાચાલી થઈ અને સોમનાથ ભારતી સહિત અન્ય બે લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, અમે કુસ્તીબાજોને તેમની ફરિયાદ નોંધવા જણાવ્યું છે, અમે સંબંધિત લોકો પર યોગ્ય કાર્યવાહી કરીશું. કુસ્તીબાજો દ્વારા ગેરવર્તનનો આરોપ લગાવનાર પોલીસકર્મીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.

પોલીસે ધરણાં સ્થળ સીલ કરી દીધું - આ દરમિયાન રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ અને સાંસદ જયંત ચૌધરી તેમજ આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ કુસ્તીબાજોના સમર્થનમાં જંતર-મંતર પહોંચ્યા હતા, પરંતુ પોલીસે તેમને કુસ્તીબાજોની નજીક જવા દીધા ન હતા.
પોલીસે કુસ્તીબાજોના ધરણા સ્થળને સીલ કરી દીધું છે. તેમની નજીક કોઈને મંજૂરી આપવામાં આવી રહી નથી. બીજી તરફ કુસ્તીબાજોએ દેશવાસીઓને સમર્થન બતાવવા માટે જંતર-મંતરઆવવાની અપીલ કરી છે. આવા સમયે, ઘટનાસ્થળે પહોંચેલા દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ અને કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાને પોલીસે કસ્ટડીમાં લીધા હતા.
ગીતા ફોગટે કહ્યું- મારા ભાઈનું માથું ફાટી ગયું - ભારતની દિગ્ગજ રેસલર ગીતા ફોગાટે આ મામલે ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું હતું કે, પોલીસ દ્વારા જંતર-મંતર પર કુસ્તીબાજો પર હુમલો, જેમાં મારા નાના ભાઈ દુષ્યંત ફોગટનું માથું ફોડી નાંખવામાં આવ્યું અને અન્ય એક કુસ્તીબાજ પણ ઘાયલ થયા છે. આ ખૂબ જ શરમજનક છે.
પીટી ઉષા કુસ્તીબાજોને મળ્યા - આ પહેલા બુધવારે બપોરે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષા કુસ્તીબાજોને મળવા માટે દિલ્હીના જંતર-મંતર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વિનેશ ફોગટ, સાક્ષી મલિક અને સંગીતા ફોગટ સાથે પણ વાત કરી હતી.
પીટી ઉષાએ કુસ્તીબાજોને હડતાળ ખતમ કરવાની અપીલ કરી હતી. લગભગ એક કલાક સુધી તે કુસ્તીબાજોને મળ્યા હતા. પી.ટી.ઉષાએ આ બાબતે શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.
પીટી ઉષાએ કરી હતી કુસ્તીબાજોની ટીકા - ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાએ IOA કાર્યકારી સમિતિની બેઠક બાદ જણાવ્યું હતું કે, કુસ્તીબાજો માટે રસ્તા પર પ્રદર્શન કરવું અનુશાસનહીન છે. આનાથી ભારતની છબી ખરાબ થઈ રહી છે. આ નિવેદનનો સાક્ષી મલિક અને વિનેશ ફોગાટે પણ વિરોધ કર્યો હતો.
23 એપ્રિલથી વિરોધ કરી રહ્યા છે કુસ્તીબાજો - આ વર્ષે જાન્યુઆરીમાં દેશના કેટલાક અગ્રણી કુસ્તીબાજોના વિરોધ બાદ રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા બ્રિજભૂષણ શરણ સિંહ અને અન્ય કોચ પર લાગેલા આરોપોની તપાસ માટે 'મોનિટરિંગ કમિટી'ની રચના કરવાની જાહેરાત કરી હતી.
સમિતિને આ મુદ્દા પરનો અહેવાલ મંત્રાલયને સોંપવાનું કામ સોંપવામાં આવ્યું હતું. રિપોર્ટ્સમાં વિલંબને કારણે કુસ્તીબાજોએ 23 એપ્રિલથી જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.












Click it and Unblock the Notifications
