નિર્દોષ લોકોને મારી રહ્યું છે પાક, ક્યાં છે મોદીની 56 ઇંચની છાતી!
નવી દિલ્હી, સરહદ પર પાકિસ્તાન તરફથી થઇ રહેલા સતત સીઝફાયરના ઉલ્લંઘન પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો છે. ગુલામ નબી આઝાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા જણાવ્યું છે કે આજે જ્યારે પાકિસ્તાન તરફથી સીઝફાયરમાં નિર્દોષ લોકોના મોત થઇ રહ્યા છે. એવામાં વડાપ્રધાન પાકિસ્તાનને કડક જવાબ શા માટે નથી આપતા? તેમણે જણાવ્યું કે ખબર નથી હવે 56 ઇંચની છાતી ક્યાં છે, હવે કોઇ આંખથી આંખ મિલાવીને વાત કેમ નથી કરતું?
ગુલામ નબી આઝાદે જણાવ્યું કે વડાપ્રધાને લોકસભા ચૂંટણી દરમિયાન માત્ર ભાષણબાજી જ કરી હતી. વડાપ્રધાન ચૂંટણી પહેલા કરેલા પોતાના વચનો ભૂલી ગયા છે જેમાં તેમણે જણાવ્યું હતું કે એનડીએ સરકાર બન્યા બાદ સીઝફાયર ઉલ્લંઘન બંધ થઇ જશે. તેમણે જણાવ્યું કે એનડીએ સરકારની નિષ્ફળતા આનાથી જ સાબિત થાય છે જ્યારે ઓગષ્ટ મહિનામાં બીએસએફના જનરલ ડાયરેક્ટરે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સીમા પર 1971 બાદ પાકિસ્તાન તરફથી અત્યાર સુધી સૌથી ભારે ગોળીબાર થયો છે.
બીજી તરફ ગૃહમંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને સખત શબ્દોમાં સીઝફાયર ઉલ્લંઘનને તુરંત રોકવા માટે જણાવ્યું છે. રાજનાથ અનુસાર, પાકિસ્તાને હવે સમજવું જોઇએ કે ભારતમાં હવે જમાનો બદલાઇ ગયો છે. સીમા પર વારંવાર થઇ રહેલા સીઝફાયર ઉલ્લંઘનને સાંખી લેવામાં આવશે નહીં.