Congress Income Tax Notice : કોંગ્રેસને ઈન્કમટેક્સની નોટીસ અને 1700 કરોડનો દંડ, જાણો શું છે વિવાદ?
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લોકશાહી મુલ્યોને નેવે મુકી દીધા હોય તેમ વિપક્ષી પાર્ટીઓને હેરાન કરવાનું શરૂ કર્યુ છે. હવે ઈન્કમટેક્સના હવાલાથી 1700 કરોડની નોટીસ મોકલી છે.
આવકવેરા વિભાગે ફરી એકવાર કોંગ્રેસ પાર્ટીને નોટિસ મોકલી છે. આ નોટિસમાં પાર્ટી પાસેથી 1700 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે.

સૂત્રો અનુસાર, આવકવેરા વિભાગની ડિમાન્ડ નોટિસ વર્ષ 2017-18 થી 2020-21 માટે છે. 1700 કરોડની રકમમાં દંડ અને વ્યાજનો સમાવેશ થાય છે.
આવકવેરા વિભાગની નોટિસે લોકસભા ચૂંટણી 2024 દરમિયાન કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. કોંગ્રેસે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને 2017-2021 માટે ઈન્કમ ટેક્સ વિભાગના દંડની પુનઃ તપાસની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી દીધી. આ પછી પાર્ટીને નોટિસ મોકલવામાં આવી છે.
હવે કોંગ્રેસ પાર્ટી વધુ ત્રણ વર્ષની આવકની તપાસ પૂર્ણ થવાની રાહ જોઈ રહી છે. આ તપાસ રવિવાર સુધીમાં પૂર્ણ થશે. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કોંગ્રેસના વકીલ અને રાજ્યસભાના સાંસદ વિવેક ટંખાએ આવકવેરા વિભાગની કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરી હતી.
તેમણે કહ્યું કે આવકવેરા વિભાગની કાર્યવાહી બિનજરૂરી અને લોકશાહી વિરુદ્ધ છે. કોંગ્રેસનો આરોપ છે કે લોકસભા ચૂંટણી દરમિયાન મુખ્ય વિપક્ષી પાર્ટીને જાણીજોઈને નિશાન બનાવવામાં આવી રહી છે.
જણાવી દઈએ કે, આવકવેરા વિભાગે દિલ્હી સ્થિત કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતામાંથી 135 કરોડ રૂપિયાની વસૂલાત કરી લીધી છે. કોંગ્રેસ 2018-19 માટે શરત પૂરી કરી શકી નથી. આવકવેરા વિભાગે કોર્ટમાં કહ્યું કે, 520 કરોડ રૂપિયા આકારણીમાં સામેલ નથી. અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને આવકવેરા વિભાગને આવા ઘણા પુરાવા મળ્યા છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે પૈસાની લેવડ-દેવડ રોકડ દ્વારા થતી હતી.
આમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના નજીકના સંબંધીઓ પણ સામેલ હતા. આવકવેરા વિભાગનું કહેવું છે કે કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમાર અને એક કંપની સાથે કોંગ્રેસ પાર્ટીના વ્યવહારો સામે આવ્યા છે, જે નિયમોનું ઉલ્લંઘન છે.
જો નિયમોનું ઉલ્લંઘન થાય છે તો રાજકીય પક્ષને લોકોનું જૂથ ગણવામાં આવે છે અને આ જૂથને આવકવેરો ચૂકવવો પડે છે. રોકડમાં કરવામાં આવતા વ્યવહારોને પણ આવકનો ભાગ ગણવામાં આવે છે.












Click it and Unblock the Notifications
