રાયબરેલી, 2 એપ્રિલ : આજે બુધવારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ લોકસભા ચૂંટણી 2014 માટે રાયબરેલીથી નામાંકન પત્ર ભર્યું છે. સતત ચોથી વાર તેમણે અહીંથી નામાંકન ભર્યું છે. છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીઓમાં તેઓ અહીંથી વિજયી રહ્યા છે. તેમણે નામાંકનપત્ર ભર્યા બાદ અહીંની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.
નામાંકનપત્ર ભરવા જતા સમયે તેમની સાથે તેમના પુત્ર અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હતા. કલેક્ટર ઓફિસમાં નામાંકન ભરવા જતા સમયે તેમની કાર પર તેમના સમર્થકોએ પુષ્પવર્ષા કરી હતી.
આ પ્રસંગે જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે વરૂણ ગાંધીએ અમેઠીમાં તેમણે કરેલા કામના વખાણ કર્યા છે ત્યારે રાહુલે એટલો જ જવાબ આપ્યો કે તેમનું નિરીક્ષણ સાચું છે. રાહુલે જણાવ્યું કે કોંગ્રેસે અમેઠીને એજ્યુકેશન હબ બનાવવા અને ખેડૂતોને મદદ કરવા વિશેષ આયોજન કર્યું છે.
ઉત્તર પ્રદેશના જ સુલતાનપુરથી ભાજપની ટિકીટ પરથી લોકસભા ચૂંટણી લડી રહેલા વરૂણ ગાંધીએ રાહુલના જવાબ અંગે ટ્વિટર પર જણાવ્યું કે રાહુલે અમેઠીમાં સારું કામ કર્યું છે પણ વ્યક્તિગત રીતે મેં તેને જોયું નથી. મારા મત કોઇ પાર્ટી કે તેના ઉમેદવારનો પ્રચાર કરવા માટે નથી. મહત્વની બાબત એ છે કે ભાજપમાંથી સ્મૃતિ ઇરાની રાહુલ ગાંધીને ચૂંટણી જંગમાં પડકારી રહ્યા છે.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/hkch8VTA7Hc" frameborder="0" allowfullscreen></iframe></center>