કેન્દ્રની દાદાગીરી સામે દિલ્હીમાં આપ-કોંગ્રેસ એક, ટ્રાન્સફર-પોસ્ટિંગ અધ્યાદેશનો વિરોધ કરશે
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ દિલ્હીમાં ટ્રાન્સફર પોસ્ટિંગને લઈને કેન્દ્રની દાદાગીરી યથાવત છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને અધિકાર આપ્યા બાદ હવે કેન્દ્ર સરકાર અધ્યાદેશ લાવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીને કોંગ્રેસનો સાથ મળ્યો છે.
કેન્દ્ર અને દિલ્હી સરકારની ખેંચતાણ પુરી થવાનું નામ નથી લઈ રહી ત્યારે હવે આમ આદમી પાર્ટીએ અધ્યાદેશને લઈને મોરચો ખોલ્યો છે અને વિપક્ષી પાર્ટીઓને સાથે આવવા માટે અપીલ કરી છે. કેજરીવાલની અપીલ બાદ હવે કોંગ્રેસે આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યુ છે.

દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગની સત્તાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમ બાદ હાલ રાજનીતિ ચરમ પર છે. કેજરીવાલ સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચે ચાલી રહેલી ખેંચતાણમાં હવે આમ આદમી પાર્ટીને કોંગ્રેસનું સમર્થન મળ્યું છે.
કેન્દ્ર સરકારની દાદાગીરી સામે વિપક્ષના સહકારની અપીલ બાદ કોંગ્રેસે સ્પષ્ટ કહ્યું કે તે કેન્દ્રીય વટહુકમનો વિરોધ કરશે. સોમવારે મીડિયા સાથે વાત કરતા પાર્ટીના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે, કોંગ્રેસ સંસદ લાવવામાં આવેલા દિલ્હી અધ્યાદેશનો વિરોધ કરશે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારના વટહુકમને કાયદો બનતો અટકાવવા રાજ્યસભામાં વિપક્ષના સમર્થનની અપીલ કરી હતી.
કેજરીવાલ અપીલ કર્યા બાદ વિપક્ષી નેતાઓને પણ મળી રહ્યા છે. આ ક્રમમાં અરવિંદ કેજરીવાલ 23 મેના રોજ કોલકાતામાં TMC પ્રમુખ મમતા બેનર્જીને મળશે. ત્યારબાદ 24 મેના રોજ ઉદ્ધવ ઠાકરે અને 25 મેના રોજ શરદ પવાર સાથે મુલાકાત થશે.
જણાવી દઈએ કે, 19 મેના રોજ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કેન્દ્ર સરકાર લેફ્ટનન્ટ ગવર્નરને અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગની સત્તા આપતો અધ્યાદેશ લઈને આવી છે. આમ આદમી પાર્ટીએ આ વટહુકમને અલોકતાંત્રિક અને સુપ્રીમ કોર્ટના આદેશનો તિરસ્કાર ગણાવ્યો છે.












Click it and Unblock the Notifications
