ઠગ સુકેશ ચંદ્રશેખર ગમે ત્યારે ભાજપમાં સામેલ થઈ શકે છે, CM કેજરીવાલે કર્યો કટાક્ષ
ઠગ સુકેશ ચંદ્રશેખરની બીજી ચિઠ્ઠી બાદ દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ પર કટાક્ષ કર્યો છે.
દિલ્લીમાં એમસીડી ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ રાજકારણ પણ ગરમાઈ રહ્યુ છે. એમસીડી ચૂંટણી પહેલા ઠગ સુકેશ ચંદ્રશેખરની બીજી ચિઠ્ઠી બાદ દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ પર કટાક્ષ કર્યો છે. તેમણે ભાજપ પર નિશાન સાધીને કહ્યુ કે સુકેશ ચંદ્રશેખર કોઈ પણ દિવસે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે સુકેશ ચંદ્રશેખરે તેના બીજા પત્રમાં દાવો કર્યો હતો કે દિલ્લીની સ્કૂલો માટે તેણે પીઆરનુ કામ કર્યુ હતુ.
'સુકેશને ભાજપનો સ્ટાર પ્રચારક બનાવો'
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આગળ કહ્યુ કે ચંદ્રશેખર ભાજપની ભાષા બોલતા શીખી રહ્યા છે. પહેલા ભાજપ કહેતી હતી કે કેજરીવાલનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવવો જોઈએ. હવે ચંદ્રશેખર પોતાનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવવાની સાથે સાથે સત્યેન્દ્ર જૈનનો પણ ટેસ્ટ કરાવવાની વાત કરી રહ્યા છે. તે હવે ભાજપમાં જોડાવા માટે પ્રશિક્ષિત થઈ ચૂક્યા છે અને ગમે તે દિવસે પાર્ટીમાં જોડાઈ શકે છે. ભાજપ પર કટાક્ષ કરતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે સુકેશને ભાજપે સ્ટાર પ્રચારક બનાવવો જોઈએ. જો આવુ થાય તો કમસે કમ લોકો રેલીઓમાં તેમની કહાનીઓ સાંભળવા આવશે અને ભાજપની રેલીઓમાં ભીડ થશે. સુકેશને ભાજપમાં સામેલ કરીને તેમને પાર્ટી પ્રમુખ બનાવવા જોઈએ.
'હું પૉલીગ્રાફ ટેસ્ટ કરાવવા તૈયાર છુ, મુખ્યમંત્રી અને સત્યેન્દ્ર જૈનનો કરાવો'
એક દિવસ પહેલા સુકેશે બીજો પત્ર જાહેર કર્યો હતો. આ પત્ર દ્વારા ઠગ સુકેશે દાવો કર્યો હતો કે તેણે દિલ્લીની શાળાઓના પ્રમોશન માટે પીઆરની વ્યવસ્થા કરી હતી. મીડિયાને આ પત્ર દ્વારા સુકેશે આરોપ લગાવ્યો હતો કે અમેરિકી સમાચારોમાં દિલ્લીના સ્કૂલ મૉડલની કહાનીને પ્રમોટ કરવા માટે તેના પીઆરને 8.5 લાખ અમેરિકી ડૉલર અને 15 ટકા વધારાનુ કમિશન આપવામાં આવ્યુ હતુ. આ પહેલા સુકેશે દિલ્લીના એલજી વીકે સક્સેનાને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે તેણે આમ આદમી પાર્ટીના મંત્રી સત્યેન્દ્ર જૈનને 'સિક્યોરિટી મની' તરીકે 10 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. જો કે, જ્યારે આપ તરફથી તેના આરોપોને ખોટા કહેવામાં આવ્યા ત્યારે ઠગ સુકેશે કહ્યુ કે મારા દ્વારા આપવામાં આવેલા તમામ નિવેદનો સાચા છે. જો તમને લાગતુ હોય કે હું ખોટુ બોલી રહ્યો છુ તો હું પૉલીગ્રાફ ટેસ્ટ કરાવવા તૈયાર છુ. તમારા મુખ્યમંત્રી અને સત્યેન્દ્ર જૈને પૉલીગ્રાફ ટેસ્ટ કરાવવો જોઈએ.