મનીષ સિસોદિયાને ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલવાનું કાવતરું : કેજરીવાલ
કેજરીવાલ સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી ગઈ છે. તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. EDએ તેમના પર મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો છે.
નવી દિલ્હી, 02 જૂન : કેજરીવાલ સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી ગઈ છે. તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. EDએ તેમના પર મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો છે. આ મામલામાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ પણ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.
ગુરુવારના રોજ મુખ્યમંત્રી કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, સત્યેન્દ્ર જૈન બાદ હવે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું હતું કે, મેં થોડા મહિના પહેલા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર નકલી કેસમાં સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવા જઈ રહી છે. મને વિશ્વાસપાત્ર સૂત્રો દ્વારા આ સમાચારની જાણ થઈ. હવે એ જ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, કેન્દ્ર સરકાર પણ મનીષ સિસોદિયાની નકલી કેસમાં ધરપકડ કરવા જઈ રહી છે.
એવું પણ જાણવા મળ્યું છે કે, કેન્દ્રએ તમામ તપાસ એજન્સીઓને મનીષ સિસોદિયા વિરુદ્ધ બનાવટી કેસ તૈયાર કરવા કહ્યું છે. મુખ્યમંત્રી કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, સિસોદિયા ભારતમાં શિક્ષણ ક્રાંતિના પિતા છે. તેઓ આઝાદી પછીના શ્રેષ્ઠ શિક્ષણ મંત્રી છે.
કેજરીવાલે જણાવ્યું હતું કે, સિસોદિયાએ આખા દેશના ગરીબ બાળકોને આશા આપી છે કે, તેમનું નસીબ બદલાઈ શકે છે. આજે આપણને સારું શિક્ષણ કેવી રીતે આપવું તે શીખવવા માટે વિશ્વભરમાંથી તેમની પાસે કોલ આવી રહ્યા છે. આ બધા કારણોસર કેન્દ્ર સરકાર તેમની પાછળ પડી છે.
કેન્દ્ર સરકાર જૈન અને સિસોદિયાને જેલમાં મોકલીને દિલ્હીના શિક્ષણ અને આરોગ્યના વિકાસને રોકવા માગે છે, પરંતુ હું આવું થવા દઈશ નહીં. તેમણે સવાલ કર્યો કે, જો મનીષ અને જૈન ભ્રષ્ટ છે, તો દેશમાં ઈમાનદાર કોણ છે.
અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી જણાવ્યું હતું કે, હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે, દરેક મંત્રીની ધરપકડ ન કરે, પરંતુ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓની ધરપકડ કરીને જેલમાં મોકલે. સત્યેન્દ્ર જૈન દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક પ્રોજેક્ટને આગળ વધારવા માંગતા હતા, યમુનાની સફાઈ કરવા માંગતા હતા, હવે ધરપકડ આ કામો બંધ કરશે. ઈન્કમટેક્સ અને સીબીઆઈ આ કેસમાં તપાસ કરી ચૂક્યા છે, જેમાં તેમની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ તેમને કંઈ મળ્યું નથી. જો તમામ એજન્સીઓ આ રીતે તપાસ કરતી રહેશે તો જનતાના કામ ક્યારે થશે.