PM મોદી પરની ટિપ્પણી મુદ્દે રાહુલ ગાંધીને અવમાનના નોટીસ, લોકસભા સચિવાલયે જવાબ માંગ્યો
અદાણી મુદ્દે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સંસદમાં કરેલા આક્ષેપોને લઈને હવે લોકસભા કાર્યાલયે નોટીસ મોકલી જવાબ માંગ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી અદાણી મુદ્દે સંસદમાં હંગામાનો માહોલ છે. સંસદમાં આરોપો પ્રતિઆરોપો ચાલી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર ઘણા આરોપો લગાવ્યા હતા. હવે આ આરોપો મુદ્દે લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીને નોટીસ મોકલી છે અને જવાબ માંગ્યો છે.

મળી રહેલી વિગતો અનુસાર, લોકસભા સચિવાલયે 7 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન ભ્રામક, બદનક્ષીપૂર્ણ, અસંસદીય અને ભડકાઉ નિવેદનો કરવા બદલ રાહુલ ગાંધી પાસેથી જવાબ માંગ્યો છે. રાહુલ ગાંધી સામે ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને પ્રહલાદ જોશીએ વિશેષાધિકાર નોટિસ આપી હતી. હવે આના પર જવાબ મંગાયો છે.
લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીને નોટિસનો જવાબ આપવા કહ્યું છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેતા ગૌતમ અદાણી સાથેના સંબંધો પર સવાલ ઉઠાવતા પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. 2014 માં ભાજપ સત્તામાં આવ્યા પછી અદાણીની સંપત્તિમાં જબરદસ્ત વૃદ્ધિને ટાંકીને રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર ક્રોની મૂડીવાદનો આરોપ મૂક્યો હતો.
રાહુલ ગાંધી પર ભાજપે આરોપ લગાવ્યો છે કે તેમની ટિપ્પણી અપમાનજનક, અસંસદીય અને ભ્રામક છે. બીજેપીએ કોંગ્રેસ શાસિત રાજસ્થાન અને અન્ય વિપક્ષ શાસિત રાજ્યોમાં અદાણીના વ્યાપારી હિતો તરફ પણ ધ્યાન દોર્યું હતું. નિશિકાંત દુબેએ સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ આપી હતી. આમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કોઈપણ દસ્તાવેજી પુરાવા વિના અને સદનને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો.
અહીં નિશિકાંત દુબેએ લખ્યું કે, રાહુલ ગાંધીએ તેમના નિવેદનના સમર્થનમાં કોઈ યોગ્ય પ્રમાણિત દસ્તાવેજ રજૂ કર્યા નથી. કોઈપણ દસ્તાવેજી પુરાવાના અભાવે નિવેદન ગૃહને ગેરમાર્ગે દોરવા સમાન છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ પણ સ્પીકરને પત્ર લખીને કહ્યું હતું કે, નિયમ 380 હેઠળ રાહુલ ગાંધી દ્વારા કરાયેલા અસંસદીય, અપમાનજનક આરોપોને ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવે.












Click it and Unblock the Notifications
