Corona Virus: કેરળમાં ધાર્મિક કાર્યક્રમોની મંજુરી આપવી એ ભુલ હતી-સરકાર
કેરળમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતા સરકારી પેનલના અધિકારીએ કહ્યું છે કે જો રાજ્યમાં ધાર્મિક કાર્યક્રમો ફરી શરૂ ન કરાયા હોત તો રાજ્યમાં રોગચાળો અટકાવી શકાયો હોત. સરકારની જીનોમ સિક્વન્સિંગ મોનિટરિંગ એજન્સી, ભારતીય SARS-CoV-2 જીનોમિક્સના નિર્દેશકોમાંના એક અનુરાગ અગ્રવાલે જણાવ્યું હતું કે જો રાજ્ય સરકારે ધાર્મિક મેળાવડા ફરી શરૂ ન કર્યા હોત તો કેરળમાં કોવિડ -19 કેસોમાં વધારો અટકાવી શકાયો હોત. કેરળમાં ધાર્મિક મેળાવડાને મંજૂરી આપવી એ સારો વિચાર નહોતો.
અનુરાગ અગ્રવાલે ઈન્ડિયા ટુડે ટીવી સાથે વાત કરતા કહ્યું કે કેરળમાં ધાર્મિક સમારોહ યોજવા દેવા એ ખરાબ વિચાર હતો. કેરળ સરકારે માત્ર આવશ્યક સેવાઓને ફરીથી ખોલવાની મંજૂરી આપવી જોઈતી હતી. અનુરાગ અગ્રવાલે કહ્યું છે કે જો કેરળ ધાર્મિક સમારોહ માટે ખુલ્લું ન હોત તો દરરોજ 13,000 થી 20,000 કેસ આવતા ન હોત.
અનુરાગ અગ્રવાલે વધુમાં કહ્યું છે કે ઉત્તર ભારતની સરખામણીમાં કેરળ કોરોના કેસમાં પાછળ હતો અને હવે રાજ્યમાં કોવિડ-19 સંક્રમણ સતત વધતુ રહેશે. તેમણે કહ્યું છે કેરળમાં કોરોનાનું કોઈ નવું વેરિએન્ટ મળ્યું નથી. રાજ્યમાંથી લેવાયેલા નમૂનાઓના જીનોમ સિક્વન્સીંગથી સામે આવ્યુ છે કે ઓછામાં ઓછા 90 ટકા કેસ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના છે. કોરોનાની બીજી લહેરમાં એપ્રિલથી મે દરમિયાન કેરળમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના કેસ નોંધાયા હતા.
અનુરાગ અગ્રવાલે કહ્યું છે કે કોરોના વાયરસની ત્રીજી લહેર સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં દેશમાં આવી શકે છે. જો કે, તેમણે કહ્યું કે બીજી લહેર પૂરી થઈ નથી, કારણ કે દેશના જુદા જુદા ભાગોમાં હજુ પણ કોરોનાના વધુ કેસ છે.
કોરોનાની ત્રીજી લહેર અંગે અનુરાગ અગ્રવાલે કહ્યું છે કે, જે પહેલા સાજા થઈ ગયા છે તેમને ગંભીર બીમારી થશે નહીં, તેથી ત્રીજી લહેર બહુ ગંભીર નહીં હોય. પરંતુ જો વાયરસ તેનું સ્વરૂપ બદલશે તો આ બધું બદલાશે. બીજી તરફ અનુરાગ અગ્રવાલે કહ્યું છે કે ભવિષ્યમાં કોરોના વાયરસના કેસોમાં વધારો અટકાવવાનો એકમાત્ર રસ્તો રસીકરણ અભિયાનને ઝડપી બનાવવાનો છે. તેમણે કહ્યું કે દેશમાં આપવામાં આવેલી કોવિડ -19 રસી લગભગ 60 ટકા કોરોના સામે રક્ષણ આપી શકે છે.