Breaking: ભારતમાં કોરોનાથી વધુ એક મોત, મૃતકાંક 3 થયો
Breaking: ભારતમાં કોરોનાથી વધુ એક મોત, મૃતકાંક 3 થયો
ભારતમાં કોરોનાવાઈરસના વધી રહેલા ડરની વચ્ચે આજે મુંબઈમાં વધુ એક શખ્સનું કોરોનાવાઈરસને પગલે મોત થયું છે. આ શખ્સ દુબઈથી આવ્યો હતો, જેની ઉંમર 64 વર્ષની હતી. દર્દીને પહેલા હિંદુજા હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો હતો, જેને કોરોનાવાઈરસ હોવાની પુષ્ટિ થયા બાદ તેને કસ્તૂરબા હોસ્પિટલે રેફર કરી દેવામાં આવ્યો હતો. આ પહેલા ભારતમાં 2 લોકોના કોરોનાવાઈરસથી મોત થઈ ચૂક્યાં છે. જેમાંથી એક શખ્સનું બેંગ્લોરમાં અને એક શખ્સનું દિલ્હીમાં કોરોનાવાઈરસને કારણે મોત થયું હતું.
નોઈડામાં વધુ બે કેસ સામે આવ્યા
આ ઉપરાંત નોઈડાના સેક્ટર 100 અને સેક્ટર 78માં કોરોનાવાઈરસના બે નવા મામલા સામે આવ્યા છે. સીએમઓ અનુરાગ ભાર્ગવે આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે આમાંથી એક દર્દીએ હાલમાં જ ફ્રાંસની યાત્રા કરી હતી. આ બંનેને હોસ્પિટલે આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં, આ બે કેસ સામે આવ્યા બાદ હવે દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 127 થઈ ગઈ છે.
મહારાષ્ટ્રમાં કુલ 39 પૉજિટિવ કેસ
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોનાવાઈરસના કુલ 39 પૉજિટિવ મામલા સામે આવ્યા છે. કોરોનાવાઈરસને કારણે પુણેના શનિવારવાડા કિલ્લાને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યો છે. કોરોનાવાઈરસને વધતા સંક્રમણને જોતા સરકારે લોકોને અપીલ કરી કે તેઓ ગીચ વિસ્તારોમાં જવાનું ટાળે. જ્યારે મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી કે કર્ણાટકમાં કોરોનાના બે નવા કેસ સામે આવ્યા છે, જે બાદ રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા 10 થઈ ગઈ છે.
137 દેશમાં ફેલાયો
દુનિયાના 137થી પણ વધુ દેશ કોરોનાવાઈરસ સામે યુદ્ધ લડી રહ્યા છે. દુનિયાભરમાં કોરોનાવાઈરસને કારણે 7000થી પણ વધુ લોકોના મોત થઈ ચૂક્યાં છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા એક લાખ 64 હજારનો આંકડો પાર કરી ચૂકી છે. કોરોનાવાઈરસને કારણે સૌથી વધુ મોત ચીનમાં થઈ છે. જ્યારે યૂરોપના કેટલાય દેશ તેના લપેટામાં આવી ગયા છે.