દબાણમાં આવી આતંકવાદીઓની મદદ કરે છે કાશ્મીરીઓ - CRPF
સીઆરપીએફના ઇનસ્પેક્ટર જનરલે કહ્યું કે, કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં સ્થાનિક લોકો આતંકવાદીઓના દબાણમાં આવી તેમની મદદ કરી રહ્યાં છે, જેને કારણે સુરક્ષા દળોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
એક દિવસ પહેલાં જ સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું હતું કે, કાશ્મીર માં જે કોઇ સેનાના ઓપરેશનમાં વિઘ્ન ઊભું કરશે, તેને આતંકીઓના મદદગાર માનવામાં આવશે. આ અંગે હવે કેન્દ્રિય રિઝર્વ પોલીસ દળ(સીઆરપીએફ)એ કહ્યું છે કે, કાશ્મીરમાં યુવાઓ અને સ્થાનિક નિવાસીઓ દબાણમાં આવીને આતંકવાદીઓની મદદ કરે છે, જેનો ફાયદો ઉઠાવી આતંકવાદી ઓ ભાગવામાં સફળ રહે છે.
પ્રતિકાત્મક તસવીર
સીઆરપીએફના ઇનસ્પેક્ટ જનરલ જુલ્ફિકાર હસને ગુરુવારે કહ્યું કે, સુરક્ષા દળો એ વાતનું ધ્યાન રાખે છે કે આતંકીઓ વિરુદ્ધના ઓપરેશનમાં કોઇ સામાન્ય નાગરિકને નુકસાન ન થાય, પરંતુ નાગરિકોએ પણ આતંકીઓથી ડરીને તેમની મદદ ન કરવી જોઇએ. તેમણે કહ્યું કે, કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં સ્થાનિક લોકો આતંકવાદીઓના દબાણમાં આવી તેમની મદદ કરી રહ્યાં છે, જેને કારણે સુરક્ષા દળોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકોને હું કહેવા માંગુ છું દબાવમાં આવી કોઇ આતંકીની મદદ ન કરે.
અહીં વાંચો - પાકિસ્તાનની લાલ શહબાજ દરગાહમાં આતંકી હુમલો, 100ના મોત
શું કહ્યું હતું સેના પ્રમુખે?
નોંધનીય છે કે, સેના પ્રમુખ બિપિન રાવતે બુધવારે કહ્યું હતું કે, આતંકીઓ વિરુદ્ધની સેનાની કાર્યવાહીમાં વિઘ્ન ઊભુ કરનારા લોકો તથા જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન અને આઇએસઆઇએસના ઝંડા લહેરાવતા લોકો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. સેના તેમની સાથે એવો જ વ્યવહાર કરશે જેવો કોઇ આતંકવાદી સાથે કરવો જોઇએ. આતંકવાદીઓનું સમર્થન પણ આતંકવાદ માનવામાં આવશે. રાવત અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોની હેરાનગતિ એટલા માટે વધી રહી છે, કારણ કે સ્થાનિક લોકો તેમના અભિયાનમાં વિઘ્ન ઊભું કરે છે.