પંજાબ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા, કોંગ્રેસે બાયકોટ કર્યો!
પંજાબમાં છેલ્લા કેટલાક દિવસથી સતત રાજનીતિ ગરમાઈ રહી છે. પહેલા આપ સરકાર અને રાજ્યપાલ વચ્ચેનો વિવાદ અને તે બાદ આપ સરકારે વિધાનસભાનું સત્ર બોલાવતા સતત એકબીજા પક્ષો આરોપો લગાવી રહ્યા છે.
ચંદીગઢ : પંજાબમાં છેલ્લા કેટલાક દિવસથી સતત રાજનીતિ ગરમાઈ રહી છે. પહેલા આપ સરકાર અને રાજ્યપાલ વચ્ચેનો વિવાદ અને તે બાદ આપ સરકારે વિધાનસભાનું સત્ર બોલાવતા સતત એકબીજા પક્ષો આરોપો લગાવી રહ્યા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે પંજાબ સરકારે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી છે.
સત્રના છેલ્લા દિવસે કાર્યવાહી શરૂ થતાં જ પંજાબ વિધાનસભાને 15 મિનિટ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. કાર્યવાહી શરૂ થયા બાદ મંત્રી અમન અરોરાએ ગેંગસ્ટર દીપક ટીનુ કેસ મુદ્દે નિવેદન આપ્યુ હતું. આ બાદ સરકાર લાવવામાં આવેલા વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ હતી. વિશ્વાસ મત પર ચર્ચા શરૂ થતાં જ ગૃહમાં હોબાળો થયો હતો. શૂન્યકાળ દરમિયાન વિપક્ષના ધારાસભ્યો ચર્ચા માટે અડગ રહેતા માર્શલની ટીમે વિરોધ પક્ષના ધારાસભ્યોને ઘેર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ વેલમાં આવીને AAP સરકાર મુર્દાબાદના નારા લગાવ્યા હતા અને સત્રનો બહિષ્કાર કર્યો હતો.
ચર્ચા દરમિયાન ધારાસભ્ય શીતલ અંગુરાલે કહ્યું કે, ઓપરેશન લોટસ અંતર્ગત અમિત શાહ પહેલા અનુરાગ ઠાકુરને મળવાની વાત થઈ હતી. શીતલ અંગુરાલે વિજિલન્સમાં એક નવી ફરિયાદ દાખલ કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે જેમણે તેને ઓફર કરી હતી તેઓ પંજાબ-હરિયાણા હાઈકોર્ટના વકીલ કહેતા હતા.
પરાળી, વીજળી અને જીએસટીના મુદ્દે બોલાવવામાં આવેલા પંજાબ વિધાનસભાના વિશેષ સત્રમાં હોબાળા વચ્ચે મુખ્યમંત્રી ભગવંત માને વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. રાજ્યપાલે આ પ્રસ્તાવ પર જ ગૃહની બેઠક બોલાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ સરકારે કેબિનેટ બેઠકના મુદ્દાઓને આધારે ગૃહની મંજૂરી માંગી હતી. સત્ર બોલાવવા મંજૂરી આપવામાં આવી પરંતુ સત્ર પહેલાં બોલાવવામાં આવેલી બિઝનેસ એડવાઇઝરી કમિટી (BAC)ની બેઠકમાં વિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય લેવાયો હતો. જેના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિન્દર સિંહ રાજા વાડિંગે મુખ્યમંત્રી ભગવંત માનને પડકાર ફેંક્યો હતો કે, જો તેમની સરકાર બહુમતી સાબિત કરવા આતુર હોય તો વિધાનસભાની ચૂંટણીઓ કરાવીને લોકોનો વિશ્વાસ પાછો મેળવે. વિપક્ષના નેતા પ્રતાપ બાજવાએ વિધાનસભા પરિસરમાં કહ્યું કે સરકાર વિશ્વાસ પ્રસ્તાવ લાવીને ગૃહનો સમય બગાડી રહી છે. જે મુદ્દા પર આ સત્ર બોલાવવામાં આવ્યું છે તેમાંથી એક પણ મુદ્દા પર પહેલા દિવસે ચર્ચા થઈ નથી.
આ પછી બાજવાએ મુખ્ય પ્રધાન ભગવંત માનના વર્તન સામે ગૃહમાં રજૂ કરવા માટે સ્પીકર કુલતાર સિંહ સંધવાનને નિંદા પ્રસ્તાવ મોકલ્યો હતો. જેમાં બાજવાએ જણાવ્યું કે, સરકારે ગૃહ સમક્ષ સૂચિબદ્ધ કામોની વિગતો રાખતા કહ્યું હતું કે રાજ્ય સરકાર જીએસટી, પરાળી સળગાવવા, વીજળીની સ્થિતિ વગેરેના મુદ્દાઓને કાયદાકીય વિચારણા માટે સામેલ કરશે. રાજ્ય સરકારે આ કામો અંગે રાજ્યપાલને પણ જાણ કરી હતી. તેના આધારે સત્ર બોલાવવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ તેને બાયપાસ કરીને મુખ્યમંત્રીએ ગુપ્ત રીતે વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.