રેલવે ભાડામાં વધારો, FDI અંગે ટૂંકમાં નિર્ણય : સદાનંદ ગૌડા
નવી દિલ્હી, 20 જૂન : નરેન્દ્ર મોદી સરકારે ભારતીય રેલવે અને ખાસ કરીને માલગાડી અને હાઇ સ્પીડ ટ્રેનોના ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબુત કરવા માટે કામગીરી શરૂ કરી દીધી છે. આ માળખાને મજબુત કરવા માટે સરકાર પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ-FDI)ને મંજૂરી આપવાની તૈયારી ચાલી રહી છે.
આ અંગેની માહિતી રેલવે પ્રધાન સદાનંદ ગૌડાએ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રેલવેમાં 100 ટકા એફડીઆઇને મંજૂરી આપવાના પ્રશ્ને અંતિમ વાતચીત ચાલી રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા રેલવેના કેટલાક હિસ્સામાં 100 ટકા એફડીઆઇને મંજૂરી આપવાના મામલે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આ અગાઉ રેલવેના કેટલાક હિસ્સા જેમ કે હાઇ સ્પીડ ટ્રેન, માલગાડી માટે જાહેર-ખાનગી ભાગીદારી મારફતે બની રહેલા ખાસ કોરિડોર અને શહેરી તેમજ અર્ધશહેરી ક્ષેત્રોમાં રેલ નેટવર્કમાં આની મંજૂરીની યોજના હતી.
હાલમાં માસ રેપિડ સિસ્ટમને બાદ કરીને કોઇ પણ ક્ષેત્રમાં એફડીઆઇને મંજૂરી આપવામાં આવી નથી. સુત્રોએ કહ્યું છે કે આના માટે એક મુસદ્દો તૈયાર કરી લેવામાં આવ્યો છે. જેને રેલવે સહિત બીજા મંત્રાલય સાથે ચર્ચા કરવામાં આવ્યા બાદ એક વિધિવત દરખાસ્ત તૈયાર કરવામાં આવશે.
હાઇ સ્પીડ ટ્રેન અને વિશેષ કોરિડોર ભાજપ સરકારની ખાસ પ્રાથમિકતામાં સામેલ છે. રેલવેના માળખાને વધુ યોગ્ય અને આદર્શ બનાવવાની વાતનો રાષ્ટ્રપતિના ભાષણમાં પણ ઉલ્લેખ હતો. એક મુલાકાતમાં વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું છે કે રેલવેને રોકાણની તાકીદની જરૂર છે.
રેલવેને વધુ વ્યાપક બાનાવવા, યાત્રીઓની સુવિધાને વધારવા અને આધુનિક બનાવવા માટે જંગી નાણાંની જરૂર છે. ડિફેન્સ બાદ રેલવે એવા બીજા ક્ષેત્ર તરીકે છે જેમાં મોદી સરકાર 100 ટકા એફડીઆઇની વાત કરી રહી છે. રેલવે પ્રધાન સદાનંદ ગૌડા કહી ચુક્યા છે કે રેલવેના આધુનિકીકરણ માટે પાંચ લાખ કરોડ રૂપિયાની જરૂર છે. આનો મોટો હિસ્સો ખાનગી સેક્ટરમાંથી આવશે.