રાહુલ સામે ‘મોદી' એ કર્યો માનહાનિનો કેસ, ‘તેમના નિવેદન બાદ લોકો ઉડાવી રહ્યા મારી મજાક'
રાહુલ ગાંધી સામે એ નિવેદન બદલ બુલંદશહર કોર્ટમાં માનહાનિનો કેસ ફાઈલ કરવામાં આવ્યો છે જેમાં રાહુલે કહ્યુ હતુ કે બધા ચોરોના ઉપનામ મોદી કેમ છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી રેલીમાં આપેલા એક નિવેદનનો મામલો શમવાનું નામ નથી લઈ રહ્યો. રાહુલ ગાંધી સામે એ નિવેદન બદલ બુલંદશહર કોર્ટમાં માનહાનિનો કેસ ફાઈલ કરવામાં આવ્યો છે જેમાં રાહુલે કહ્યુ હતુ કે બધા ચોરોના ઉપનામ મોદી કેમ છે. રાહુલ ગાંધીએ કર્ણાટકની એક ચૂંટણી રેલીમાં નિવેદન આપ્યુ હતુ.
રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ
રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ ફાઈલ કરાવનાર જગદીપ કુમાર મોદીએ કહ્યુ કે કોંગ્રેસ અધ્યક્ષના આ નિવેદનથી તેમના પરિવારની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે કારણકે આ નિવેદન બાદ ઘણા લોકોએ તેમની મજાક ઉડાવવી શરૂ કરી દીધી છે. જગદીપ કુમાર મોદીએ કહ્યુ, ‘રાહુલે મોદી સરનેમવાળાને બદનામ કરવાની ઈચ્છાથી નિવેદન આપ્યુ. જ્યારે તેઓ જાણે છે કે આ યોગ્ય નથી.'
રાહુલ ગાંધી સામે ઉચિત કાર્યવાહીની માંગ
જગદીપ કુમારે રાહુલ ગાંધી સામે ઉચિત કાર્યવાહી કરવાની માંગ કરી છે. એક ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા ‘ચોકીદાર 100 ટકા ચોર છે' કહ્યુ હતુ. રાહુલ ગાંધીએ કહ્યુય કે બધા ચોરોના ઉપનામ મોદી કેમ છે. રાહુલ ગાંધી રાફેલ મુદ્દે મોદી સરકાર પર આરોપ લગાવતા રહે છે. રાહુલના આ નિવેદન પર બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદીની તીખી પ્રતિક્રિયા આવી હતી.
સુશીલ મોદીએ પણ આપી હતી માનહાનિનો કેસ કરવાની ચેતવણી
રાહુલ ગાંધીએ આ નિવેદન પર બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ કહ્યુ હતુ, ‘હું પટનાની અદાલતમાં રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ ફાઈલ કરાવીશ. શું મોદી સરનેમ રાખવી ગુનો છે? રાહુલ ગાંધીએ કરોડો લોકોને ચોર કહ્યા છે અને તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કર્યુ છે.' સુશીલ મોદીએ ટ્વીટ કરીને રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કરવા કહ્યુ હતુ.
આ પણ વાંચોઃ છત્તીસગઢમાં પોલિંગ બુથ પર તૈનાત મતદાન અધિકારીનું હાર્ટ એટેકથી મોત