બંધ નહિ થવા દઈએ યોગ ક્લાસ, 17 હજારને મળી રહ્યો છે લાભઃ અરવિંદ કેજરીવાલ
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ છે કે અમારે ભલે ગમે તે કરવુ પડે પરંતુ અમે યોગ ક્લાસને બંધ નહિ થવા દઈએ.
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ છે કે અમારે ભલે ગમે તે કરવુ પડે પરંતુ અમે યોગ ક્લાસને બંધ નહિ થવા દઈએ. તેમણે કહ્યુ કે અમે દિલ્લીના લોકો માટે યોગ ક્લાસ શરૂ કર્યા છે. આખી દિલ્લીમાં લગભગ 17,000 લોકો યોગના ક્લાસ લઈ રહ્યા છે અને તેઓ તેનાથી સ્વાસ્થ્ય લાભ મેળવી રહ્યા છે પરંતુ ભાજપના દબાણને કારણે અધિકારીઓ તેને બંધ કરી રહ્યા છે. ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યુ કે તેઓ યોગના વર્ગો બંધ કરવા અંગે દિલ્લીના લેફ્ટનન્ટ ગવર્નરને મળશે.
તેમણે કહ્યુ કે યોગ ક્લાસની ફાઈલ તેમની પાસે છે. જો આના પર તાત્કાલિક પગલાં લેવામાં નહિ આવે તો મંગળવારથી દિલ્લીમાં યોગના વર્ગો બંધ થઈ જશે અને હજારો લોકોને નુકસાન થશે. મુખ્યમંત્રીએ કહ્યુ કે કોરોના રોગચાળા પછી મોટી સંખ્યામાં લોકો આ વર્ગોમાં આવી રહ્યા છે. આમાં કોવિડ પછીના 10-11 હજાર દર્દીઓ છે જેમને ફેફસામાં થોડી સમસ્યા આવી હતી. ઘણા લોકો અસ્થમા અને અન્ય સમસ્યાઓથી પીડાય છે. આ લોકો યોગ વર્ગમાં પ્રાણાયામ કરીને સ્વાસ્થ્ય લાભ મેળવી રહ્યા છે. તેમને બંધ કરાવવા ભાજપે અધિકારીઓને સસ્પેન્ડ કરવા સહિતની તમામ ધમકીઓ આપી હતી.
દિલ્લીની યોગશાળાના કાર્યક્રમમાં યોગ મફતમાં કરાવવામાં આવે છે. પ્રશિક્ષિત શિક્ષકો લોકોને યોગ શીખવે છે. આ અંતર્ગત સમગ્ર દિલ્લીમાં 600 સ્થળોએ 17,000થી વધુ લોકો મફત યોગ વર્ગોનો લાભ લઈ રહ્યા છે. કોરોનાના સમયગાળા દરમિયાન દિલ્લીની યોગશાળા હેઠળ ઓનલાઈન યોગ વર્ગોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમણે દાવો કર્યો હતો કે તે દરમિયાન હોમ આઈસોલેશનમાં રહેતા 4500 સંક્રમિત લોકોને તેનો લાભ મળ્યો હતો. એક રિસર્ચ પણ કરવામાં આવ્યુ હતુ. રિસર્ચમાં સામેલ મોટાભાગના દર્દીઓ 30થી 70 વર્ષની વચ્ચેના હતા. તેમાંથી 92.3 ટકા દર્દીઓએ સ્વીકાર્યુ કે યોગ કરવાથી કોરોનાના લક્ષણોમાં સુધારો થયો છે.