મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈના દરોડા તેમના સારા પ્રદર્શનનુ પરિણામ છેઃ CM કેજરીવાલ
ડેપ્યુટી સીએમના આવાસ પર સીબીઆઈના દરોડા બાદ દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
નવી દિલ્લીઃ એક્સાઈઝ કેસમાં સીબીઆઈની ટીમે દિલ્લી-એનસીઆર સહિત 21 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડામાં દિલ્લીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને તત્કાલીન દિલ્લી એક્સાઇઝ કમિશનર આરવ ગોપી કૃષ્ણાના નિવાસસ્થાન પણ સામેલ હતા. સીબીઆઈના દરોડાની માહિતી ખુદ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને આપી છે. ડેપ્યુટી સીએમના આવાસ પર સીબીઆઈના દરોડા બાદ દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે શુક્રવારે, 19 ઓગસ્ટના રોજ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને લખ્યુ, 'આખી દુનિયા દિલ્લીના શિક્ષણ અને સ્વાસ્થ્ય મોડલની ચર્ચા કરી રહી છે. તેઓ આને રોકવા માંગે છે. એટલા માટે દિલ્લીના આરોગ્ય અને શિક્ષણ મંત્રીઓ પર દરોડા અને ધરપકડ કરવામાં આવી રહી છે. 75 વર્ષમાં જેણે પણ સારુ કામ કરવાનો પ્રયાસ કર્યો તેને રોકી દેવામાં આવ્યા. જેના કારણે ભારત પાછળ રહી ગયુ. દિલ્લીના સારા કાર્યોને રોકવા નહિ દઈએ.'
આટલુ જ નહિ તેમણે પોતાના બીજા ટ્વિટમાં લખ્યું, 'જે દિવસે દિલ્લીમા શિક્ષણ મોડલના વખાણ થયા અને મનીષ સિસોદિયાની તસવીર અમેરિકાના સૌથી મોટા અખબાર NYTના પહેલા પૃષ્ઠ પર છપાઈ, તે જ દિવસે કેન્દ્રએ CBIને મનીષના ઘરે મોકલી. સીબીઆઈમાં આપનુ સ્વાગત છે. સંપૂર્ણ સહકાર આપશે. ભૂતકાળમાં પણ ઘણી તપાસ/દરોડાઓ થયા છે. કશુ બહાર આવ્યુ નહિ. હજુ પણ કંઈ બહાર આવશે નહિ.
પંજાબના સીએમ માને પણ કર્યુ ટ્વિટ
દિલ્લીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના સમર્થનમાં પંજાબના સીએમ ભગવંત માને પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યુ છે. તેમણે લખ્યુ, 'મનીષ સિસોદિયા સ્વતંત્ર ભારતના શ્રેષ્ઠ શિક્ષણ મંત્રી છે. આજે અમેરિકાના સૌથી મોટા અખબાર NYT એ તેનો ફોટો ફ્રન્ટ પેજ પર છાપ્યો. અને આજે જ મોદીજીએ સીબીઆઈને તેમના ઘરે મોકલી. ભારત આવી રીતે કેવી રીતે પ્રગતિ કરશે?'