દિગ્વિજયને આવ્યો ગુસ્સો, પાર્ટી કાર્યકરને ઝીંક્યો તમાચો!
ભોપાલ, 1 જૂન : પોતાના નિવેદનોને લઇને હંમેશા વિવાદોમાં રહેનાર કોંગ્રેસના મહાસચિવ અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ આ વખતે પોતાના ગુસ્સાને લઇને વિવાદમાં ફસાઇ ગયા છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પોતાના જ સ્વાગત સમારંભ દરમિયાન રોષે ભરાઇ ગયા. દિગ્વિજય સિંહને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે બધાની સામે એક પાર્ટીના કાર્યકરને તમાચો ઝીંકી દીધો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભોપાલ કોંગ્રેસ કાર્યાલમાં દિગ્વિજય સિંહ જ્યારે પહોંચ્યા તો પાર્ટી કાર્યકર્તાઓ તેમના સ્વાગત માટે આવી ગયા. કાર્યકરો જોરજોરથી દિગ્વિજય સિંહ જીંદાબાદના નારા લગાવી રહ્યા હતા અને ધક્કા-મૂક્કી કરવા લાગ્યા.
સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ પ્રદેશ કાર્યસમિતિ અને સાંસદોની બેઠકમાં દિગ્વિજય સિંહ ઉપરાંત કેન્દ્રીય મંત્રી કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા. બાદમાં સિંધિયા અને કમલનાથે મામલાને સંભાળી લીધો અને દિગ્વિજય સિંહને શાત કરાવ્યા. ઉલ્લેખનીય છે કે દિગ્વિજય સિંહ હંમેશા પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે. આ પહેલા તેમણે પોતાની જ પાર્ટી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા.