પિંપરી-ચિંચવાડ કોર્પોરેશનમાંથી 5 હજાર કરોડના વ્યવહારો સંબંધિત દસ્તાવેજો ગાયબ!
મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવાડ મ્યૂનિસિપલ કોર્પોરેશનને લઈને એક મોટો ખુલાસો થયો છે.
મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવાડ મ્યૂનિસિપલ કોર્પોરેશનને લઈને એક મોટો ખુલાસો થયો છે. સામે આવેલી વિગતો અનુસાર, છેલ્લા 40 વર્ષમાં પિંપરી-ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોમાંથી કરોડોના વ્યવ્હારો સાથે જોડાયેલા દસ્તાવેજો ગાયબ થયા છે. જે આંકડો સામે આવી રહ્યો છે તેના પર વિશ્વાસ કરીએ તો આ આંકડો 4,917 કરોડ સુધીનો છે.
એક અહેવાલ અનુસાર, છેલ્લા 40 વર્ષમાં પિંપરી-ચિંચવાડ કોર્પોરેશનના વિવિધ વિભાગોમાંથી આ ડોક્યૂમેેન્ટ ગાયબ થયા છે. આ વાતનો ખુલાસો ઓડિટ વિભાગે કર્યો છે. વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હવે ઓડિટ રિપોર્ટ સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવશે અને તે પહેલા મ્યુનિસિપલ કમિશનર શેખર સિંહને સુપરત કરાશે.
આ મુદ્દે વાત કરતા કોર્પોરેશનના ચીફ ઓડિટર પ્રમોદ ભોસલેએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, 2014-2015ના ઓડિટ દરમિયાન ધ્યાન પર આવ્યું કે 4,917 કરોડના સોદા સંબંધિત દસ્તાવેજો અન્ય વિવિધ વિભાગો દ્વારા ઓડિટ વિભાગને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નથી.
તેમણે આગળ કહ્યું કે, તેઓ દસ્તાવેજો ગુમ થયા એમ કહેવા માંગતા નથી. અમે તેના બદલે જણાવવા માંગીએ છીએ કે આ દસ્તાવેજો 1982 થી ઓડિટ વિભાગને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નથી. હતા. 30-40 વર્ષ પહેલાં ઓડિટ કરનારા ઓડિટર્સે કહ્યું હતું કે કેટલીક રકમના સોદા સંબંધિત કેટલાક દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નથી. આ રીતે એ પછીના ઓડિટરોએ પણ આવી ટિપ્પણીઓ કરી હતી. ભોસલેએ કહ્યું કે, દસ્તાવેજો પુરા પાડવામાં આવ્યા નથી તેનો આંકડો 4,900 કરોડ રૂપિયાથી વધુ છે.
ઓડિટ વિભાગ સાથે સંકળાયેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર, સંબંધિત વિભાગોને વારંવાર કહેવા છતાં દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નહોતા. ઓડિટ વિભાગ દ્વારા જ્યારે પણ ઓડિટ કરવામાં આવ્યું ત્યારે તેમણે વિભાગો પાસેથી સંબંધિત દસ્તાવેજો માંગ્યા છે પરંતુ વિભાગો આ દસ્તાવેજો આપવામાં નિષ્ફળ રહ્યા છે.
આ સિવાય ઓડિટ રિપોર્ટમાં વિવિધ વિભાગોના 1296 કરોડના ખર્ચ સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, 119 કરોડ રૂપિયા વસૂલ કરી શકાય તેમ છે આ રૂપિયા સંબંધિત વિભાગે પક્ષકારો અથવા કોન્ટ્રાક્ટરો પાસેથી વસૂલ કરવા પડશે. આ રકમ રાઈટ ઓફ કરી શકાય નહીં.
સામાજીક કાર્યકર્તા મારુતિ ભાપકરના હસ્તક્ષેપ પર એક દાયકા પહેલા બોમ્બે હાઈકોર્ટે કોર્પોરેશનને ઓડિટ કરવામાં નિષ્ફળ રહેવા બદલ ફટકાર લગાવી હતી, કોર્ટે કહ્યું હતું કે, ગુમ થયેલા દસ્તાવેજો ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. તેનો અર્થ એ થઈ શકે કે PCMC એ અસ્તિત્વ ન ધરાવતા વ્યવહારો અથવા સોદા માટે રકમ ચૂકવી છે. આ એક ખૂબ જ ગંભીર વાંધો છે. તેનો અર્થ એ છે કે વર્ષોથી પીસીએમસીના કોરિડોરમાં ઘણી બધી ખોટી બાબતો બની છે. હવે વહીવટીતંત્રએ યોગ્ય પગલાં લેવા જોઈએ.
અહીં તમને જણાવી દઈએ કે, ઓડિટ વિભાગના સ્કેનર હેઠળ આવતા વિભાગોમાં બિલ્ડીંગ પરમીશન, હેલ્થ, ટાઉન પ્લાનિંગ, ગાર્ડન, સ્કાય સાઈન અને જનસંપર્ક વિભાગનો સમાવેશ થાય છે.