ડૉ. કમલતાઈ ગવઈએ ખુલ્લો પત્ર લખી RSSના શતાબ્દી સમારોહમાં હાજરી આપવાનો ઈનકાર કર્યો
મહારાષ્ટ્રના અમરાવતીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા 5 ઓક્ટોબરે યોજાનાર શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકેનું આમંત્રણ ડૉ. કમલતાઈ ગવઈએ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ભૂષણ રામકૃષ્ણ ગવઈ (BR Gavai) ના માતા 84 વર્ષીય કમલતાઈએ એક ખુલ્લો પત્ર (Open Letter) લખીને પોતાના આ નિર્ણયનું કારણ સ્પષ્ટ કર્યું છે.

ડૉ. કમલતાઈ ગવઈએ તેમના પત્રમાં જણાવ્યું છે કે આ કાર્યક્રમમાં હાજરી આપવાના સમાચાર સામે આવતા જ તેમને અને તેમના પરિવારને તીવ્ર આલોચનાઓ અને આક્ષેપોનો સામનો કરવો પડ્યો છે. આ જ કારણોસર તેમણે સમારોહમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો છે.
ગવઈ પરિવારે હંમેશા ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારધારાનું પાલન કર્યું છે, તેમ કમલતાઈએ ભારપૂર્વક જણાવ્યું. તેમના સ્વર્ગસ્થ પતિ દાદાસાહેબ ગવઈએ આજીવન આંબેડકરવાદી આંદોલનને આગળ ધપાવ્યું અને સમાજના પછાત તથા વંચિત વર્ગોના હિત માટે કામ કર્યું.
કમલતાઈએ સ્પષ્ટતા કરી કે જો તેઓ મંચ પર હાજર રહેત તો તેઓ ત્યાં માત્ર આંબેડકરવાદી વિચારધારા જ રજૂ કરત. તેમણે લખ્યું કે તેમના પતિ દાદાસાહેબ ગવઈ અલગ વિચારધારાવાળા કાર્યક્રમોમાં પણ ભાગ લેતા હતા, પરંતુ તેમનો ઉદ્દેશ હંમેશા સમાજના નબળા વર્ગનું હિત જ રહ્યો છે. જો કે, દાદાસાહેબ ગવઈએ ક્યારેય RSSની હિન્દુત્વની વિચારધારા સ્વીકારી નહોતી.
પત્રમાં કમલતાઈએ પોતાનું સ્વાસ્થ્ય પણ એક કારણ ગણાવ્યું. 84 વર્ષની ઉંમરે તેઓ સારવાર લઈ રહ્યા છે અને વિવાદોને કારણે માનસિક રીતે પરેશાન હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનો આ નિર્ણય કોઈ સંગઠન કે વ્યક્તિ પ્રત્યે નકારાત્મક ભાવના દર્શાવતો નથી, પરંતુ વિવાદોથી બચવા અને પરિવારની પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે આ પગલું જરૂરી હતું.
કમલતાઈ ગવઈના આ નિર્ણયે દેશભરમાં વિચારધારાની સ્વતંત્રતા અને સામાજિક જવાબદારી અંગે નવી ચર્ચા જગાવી છે. આ સિવાય આઝાદીના આંદોલનથી લઈને અત્યારસુધીમાં આરએસએસની શંકાસ્પદ ભુમિકા પર પણ ઘણા સવાલ ઉભા કર્યા છે.












Click it and Unblock the Notifications
