DRDO તૈયાર કરી રહ્યું છે જાસૂસી ઉંંદર, જાણો ભારત માટે કેટલા મહત્વના?
ભારતની સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા DRDO એક ખાસ પ્રકારના ઉંદરો પર કામ કરી રહી છે. માહિતી અનુસાર આ ઉંદર દેશને યુદ્ધ, આતંકવાદી હુમલા અને સર્ચ ઓપરેશન દરમિયાન ભારતીય સેનાની મદદ કરશે.
નવી દિલ્હી : હાલ દુનિયાભરમાં હથિયારોની રેસ ઝડપી બની છે ત્યારે હવે ભારત પણ એક પછી એક નવા હથિયારો વિકસાવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ભારત હથિયારોની રેસમાં મોટા દેશો સાથે મુકાબલો કરી રહ્યું છે. સતત નવા નવા હથિયારો માટે રિસર્ચ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે ભારતે જાસૂસી હથિયારોની દિશામાં રિસર્ચ શરૂ કર્યુ છે.
રિપોર્ટ અનુસાર, ભારતની સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા DRDO એક ખાસ પ્રકારના ઉંદરો પર કામ કરી રહી છે. માહિતી અનુસાર આ ઉંદર દેશને યુદ્ધ, આતંકવાદી હુમલા અને સર્ચ ઓપરેશન દરમિયાન ભારતીય સેનાની મદદ કરશે. આ ઉંદર એવી જગ્યાઓની માહિતી આપશે જ્યાં સામાન્ય રીતે સેનાના જવાનો અને ડ્રોન જઈ શકે તેમ ન હોય.
આ મુદ્દે માહિતી આપતા DRDO ની યંગ સાયન્ટિસ્ટ લેબોરેટરીના ડાયરેક્ટર પી શિવ પ્રસાદે જણાવ્યું કે તેમની એક ટીમ ખાસ ઉંદરો પર કામ કરી રહી છે, જેના માથા સાથે કેમેરા હશે અને સેમી-ઈનવેસિવ બ્રેન ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને નિરીક્ષણ કરાશે. આના દ્વારા ઉંદરને વિવિધ કમાન્ડ આપવામાં આવશે. આ ઉંદરોને રૈટ સાયબોર્ગ કહેવામાં આવે છે.
તેમણે આગળ જણાવ્યુ કે, આ પહેલીવાર છે જ્યારે ભારત આવી ટેક્નોલોજી વિકસાવી કહ્યું છે. કેટલાક દેશો પાસે તે પહેલાથી જ છે. તે સુરક્ષા દળોને જાસૂસીમાં મદદ કરશે. આમાં વૈજ્ઞાનિકો ઉંદરોને નિયંત્રિત કરવા પર કામ કરી રહ્યા છે. ઓપરેટરો તેમના માથા પર લગાવેલા કેમેરામાંથી લાઈવ ફીડ મેળવી શકશે.
પી શિવ પ્રસાદે 26/11 હુમલાને ટાંકીને આ ઉંદરનું મહત્વ સમજાવ્યું. તેમણે કહ્યું કે, જો ફરીથી મુંબઈ જેવા હુમલો થાય તો આ ઉંદરોને દરેકની નજરથી દૂર રાખી તલાશ શરૂ કરી શકાય છે. આનાથી કારણે આતંકીઓનું ચોક્કસ લોકેશન મળી જશે અને તેમને ખબર પણ નહીં પડે. ઉંદરો સરળતાથી તે સ્થળોએ જઈ શકે છે જ્યાં જવાનો માટે પહોંચવું મુશ્કેલ છે.