પ્રધાનમંત્રીના આવાસ ઉપર દેખાયુ ડ્રોન, SPG અને દિલ્લી પોલીસ એલર્ટ
સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન નજીક એક ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું. જે બાદ SPG અને દિલ્હી પોલીસે એલર્ટ જાહેર કર્યું છે. કેસની તપાસ ચાલી રહી છે.
PM નરેન્દ્ર મોદીના આવાસ પર ડ્રોન ફરતું જોવા મળ્યા બાદ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓમાં ખળભળાટ મચી ગયો હતો. પીએમની સુરક્ષાની જવાબદારી સંભાળનાર એસપીજીએ ઉતાવળમાં દિલ્હી પોલીસને આ અંગે જાણ કરી હતી. જે બાદ બંને ટીમો તપાસમાં લાગી ગઈ છે.

દિલ્હી પોલીસે કહ્યું કે NDD કંટ્રોલ રૂમને PM મોદીના નિવાસસ્થાન પાસે ડ્રોન દેખાયુ હોવાની માહિતી મળી હતી. જેના પર દિલ્હી પોલીસે તપાસ કરી, પરંતુ કોઈ અજાણી ઉડતી વસ્તુ મળી ન હતી. આમાં એર ટ્રાફિક કંટ્રોલની પણ મદદ લેવામાં આવી, તેઓ પણ કંઈ જોઈ શક્યા નહીં. હાલ વધુ તપાસ ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, સોમવારે સવારે 5 વાગ્યાની આસપાસ ડ્રોન દેખાયું હતું. તે થોડી જ વારમાં ગાયબ થઈ ગયુ. દિલ્હી પોલીસ અને એસપીજીની ટીમ તેને શોધી રહી છે, પરંતુ હજુ સુધી કંઈ મળ્યું નથી. ઘટના બાદથી પીએમના નિવાસસ્થાન અને તેની આસપાસના વિસ્તારોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લુટિયંસ ઝોનના લોક કલ્યાણ માર્ગ પર સ્થિત 7 નંબરના બંગલામાં રહે છે. તે 2014થી અહીં રહે છે. વડાપ્રધાનનું આ સત્તાવાર નિવાસસ્થાન 5 બંગલાઓને જોડીને બનાવવામાં આવ્યું છે. પીએમના નિવાસસ્થાન સિવાય તેમની ઓફિસ, એસપીજી સંબંધિત ઓફિસો વગેરે છે.
નોંધનીય છે કે જ્યારે આ સમગ્ર વિસ્તાર નો-ફ્લાઈંગ ઝોન છે ત્યારે આટલા હાઈ સિક્યોરિટી ઝોનમાં ડ્રોન કેવી રીતે પહોંચ્યું તેવો સવાલ ઊભો થાય છે. આ સાથે ડ્રોનના માલિક સામે કડક કાર્યવાહીનો ખતરો છે.
1984માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના જ સુરક્ષાકર્મીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. જે બાદ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ની રચના કરવામાં આવી હતી. જેમાં BSF, CISF, ITBP અને CRPFના જવાનોને લેવામાં આવે છે. ત્યારબાદ તેમને પ્રશિક્ષિત કરવામાં આવે છે અને નિશ્ચિત સમય માટે પીએમના રક્ષણ હેઠળ તૈનાત કરવામાં આવે છે.
એસપીજીમાં મુખ્યત્વે બે યુનિટ છે. એકનું કામ પીએમ મોદી જ્યાં જાય ત્યાં તેમની સુરક્ષા કરવાનું છે, જ્યારે બીજુ તેમના ઘરની સુરક્ષા કરવાનુ છે. સરકારે આ માટે SPG એક્ટ બનાવ્યો છે, જે અંતર્ગત આ ફોર્સને ઘણી સત્તાઓ મળે છે.












Click it and Unblock the Notifications
