વારાણસી, 6 મે : ભારતની ચૂંટણી પંચે 7 મેના રોજ યોજાનારી આઠમા તબક્કાની ચૂંટણીઓમાં ઉત્તર પ્રદેશની 15 લોકસભા બેઠકો પર સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો છે. આદેશના અમલને પગલે સુરક્ષા કર્મીઓની સંખ્યા વધારી દેવામાં આવી છે.
નોંધનીય છે કે ચૂંટણીના ત્રીજા અને ચોથા તબક્કામાં આ રાજ્યની અનેક બેઠકો પર બૂથ કેપ્ચરિંગ થવાની અનેક ફરિયાદોને પગલે ચૂંટણી પંચે આઠમા તબક્કાની 15 બેઠકો પર કેન્દ્રીય સુરક્ષા દળોની 300થી વધારે કંપનીઓને તૈનાત કરવાનું સૂચવ્યું છે.
આ અંગે ચીફ ઇલેક્ટોરલ ઓફિસર ઉમેશ સિંહાએ જણાવ્યું કે સુરક્ષા બાબતની બેઠકમાં સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત દેશના તમામ પ્રદેશોમાં છેલ્લા બે તબક્કાના મતદાનમાં સુરક્ષા વઘારવામાં આવશે.
આ ઉપરાંત ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારો નક્સલ પ્રભાવિત પણ છે. તેને ધ્યાનમાં રાખીને પણ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિપક્ષોએ પણ સત્તારૂઢ સમાજવાદી પાર્ટી મસલ પાવરનો ઉપયોગ ના કરી શકે તે માટે પણ સુરક્ષા વધારવાની માંગણી ભાજપના ચૂંટણી પ્રભારી અમિત શાહ, બસપાના માયાવતીએ કરી છે.