'દર મહિને 300 યુનિટ વીજળી ફ્રી, મહિલાઓને 1000 રુપિયા', AAPએ કર્ણાટકમાં આપી 10 ગેરેન્ટી
કર્ણાટકમાં ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આમ આદમી પાર્ટી વતી ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે AAPએ ગેરંટી તરીકે પોતાનો ચૂંટણી ઢંઢેરો પણ બહાર પાડ્યો છે. AAPએ કહ્યુ કે જો રાજ્યમાં અમારી સરકાર બનશે તો દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે, સ્થાનિક નોકરીઓમાં 80 ટકા અનામત અને સરકારી નોકરીઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવામાં આવશે.

આમ આદમી પાર્ટી કર્ણાટકની તમામ 224 સીટો પર ચૂંટણી લડશે. પાર્ટીએ વચન આપ્યું છે કે જો અમે સરકારમાં આવીશું તો દર વર્ષે બે લાખ નવી નોકરીઓનું સર્જન કરવામાં આવશે અને તમામ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ સાથે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને નિયમિત કરવામાં આવશે.
ચૂંટણી પંચની ઘોષણાના કલાકો પછી, રાજ્યસભાના સાંસદ સંજય સિંહે બેંગલુરુમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં પાર્ટીનો ઢંઢેરો જાહેર કર્યો, જેમાં કહ્યું કે જો AAP સત્તા પર આવશે, તો સરકારી નોકરીઓ માટે કન્નડ પ્રાવીણ્ય ફરજિયાત બનાવવામાં આવશે. સંજય સિંહે કહ્યું કે આ માત્ર ચૂંટણી ઢંઢેરો નથી, આ 10 ગેરંટી છે, જેને અમે દિલ્હી અને પંજાબની જેમ પૂરી કરીશું.
AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે જો આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો તે સરકારી શાળાઓને ખાનગી શાળાઓ કરતા વધુ સારી બનાવશે, ખાનગી શાળાઓની ફી નક્કી કરવા માટે એક સમિતિ બનાવશે. રાજ્યમાં કોન્ટ્રાક્ટ શિક્ષકોને નિયમિત કરવામાં આવશે. રાજ્યના વિદ્યાર્થીઓને ફ્રી સિટી બસ ટ્રાન્સપોર્ટની સુવિધા આપવામાં આવશે.
સંજય સિંહે જણાવ્યું હતું કે દર મહિને 5,000 રૂપિયાના સ્ટાઇપેન્ડ સાથે ધોરણ 12 પાસ કરનારા વિદ્યાર્થીઓને છ મહિનાની વ્યાવસાયિક તાલીમ આપવા માટે એક કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે મતદાનની ઉંમર ઘટાડીને 16 વર્ષ કરવામાં આવશે. આમ આદમી પાર્ટી મહિલાઓને સરકારી નોકરીઓમાં 33 ટકા અનામત અને સિટી બસમાં મફત મુસાફરીની સુવિધા આપશે. ગરીબી રેખા નીચે જીવતી 18 વર્ષથી ઉપરની દરેક મહિલાને દર મહિને એક હજાર રૂપિયા 'સશક્તિકરણ ભથ્થું' તરીકે આપવામાં આવશે.
પાર્ટીના મેનિફેસ્ટો અનુસાર, દવાઓથી લઈને શસ્ત્રક્રિયા સુધીની મફત આરોગ્ય સંભાળ સેવાઓ, દરેક વિસ્તાર અને પંચાયતોમાં દિલ્હી-મોડલ મોહલ્લા ક્લિનિક્સની સ્થાપના અને રાશન અને સરકારી સેવાઓની ઘરઆંગણે ડિલિવરી સહિત અનેક વચનો આપવામાં આવ્યા છે. AAP નેતા સંજય સિંહે કહ્યું, "કૃષિ કાયદાને રદ કરવામાં આવશે. સ્વામીનાથન કમિટીના રિપોર્ટના આધારે MSP આપવામાં આવશે."
ખેતી માટે 12 કલાક મફત વીજળીની ખાતરી આપવામાં આવશે. આ સિવાય વૃદ્ધાવસ્થા અને વિધવા પેન્શનની રકમમાં વધારો કરવામાં આવશે. વૃદ્ધ પેન્શન 400 રૂપિયાથી વધારીને 1500 રૂપિયા અને વિધવા પેન્શન 800 રૂપિયાથી વધારીને 2000 રૂપિયા કરવામાં આવશે. આ સિવાય વિધવા મહિલા પર નિર્ભર દરેક બાળક માટે 500 રૂપિયાનો વધારો કરવામાં આવશે. માઇનોર ડિસેબિલિટી પેન્શન 600 રૂપિયાથી વધારીને 1500 રૂપિયા કરવામાં આવશે, જ્યારે વિકલાંગ પેન્શન 1400 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
