કટોકટી પર બોલ્યા PM મોદી - ક્યારેય નહિ ભૂલી શકાય આજનો દિવસ, લોકતાંત્રિક ભાવનાને કરીશુ મજબૂત
કટોકટીના 46 વર્ષ પૂરા થવા પર પીએમ મોદીએ પણ તેની નિંદા કરી છે.
નવી દિલ્લીઃ ભારતના ઈતિહાસમાં 25 જૂનનો દિવસ ક્યારેય પણ નહિ ભૂલી શકાય જ્યાં 1975માં આજના દિવસે તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે ઈન્દિરા ગાંધીના કહેવાથી ભારતીય બંધારણની કલમ 352 હેઠળ કટોકટીની ઘોષણા કરી દીધી. આ કટોકટી પૂરા 21 મહિના સુધી લાગુ રહી અને આ દરમિયાન હજારો નિર્દોષ લોકોને જેલોમાં પૂરી દેવામાં આવ્યા. જો કે બાદમાં જનતાએ ઈન્દિરા ગાંધીને સત્તામાંથી બહાર ફેંકી દીધા. હવે કટોકટીના 46 વર્ષ પૂરા થવા પર પીએમ મોદીએ પણ તેની નિંદા કરી છે.
પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ કે કટોકટીના કાળા દિવસોને ક્યારેય ભૂલી ન શકાય. 1975થી 1977ના સમયગાળામાં સંસ્થાઓનો વ્યવસ્થિત વિનાશ જોવામાં આવ્યો. આવો, આપણે ભારતની લોકતાંત્રિક ભાવનાને મજબૂત કરવા અને આપણા બંધારણના આપેલા મુલ્યોને જીવવા માટે દરેક સંભવ પ્રયત્નો કરવાનો સંકલ્પ લઈએ. વળી, ગૃહમંત્રી અમિત શાહે લખ્યુ કે એક પરિવારના વિરોધમાં ઉઠનારા અવાજને કચડવા માટે થોપવામાં આવેલી કટોકટી આઝાદ ભારતના ઈતિહાસનો એક કાળો અધ્યાય છે. 21 મહિના સુધુ નિર્દયી શાસનની ક્રૂર યાતનાઓ સહીને દેશના બંધારણ અને લોકતંત્રની રક્ષા માટે નિરંતર સંઘર્ષ કરનારા બધા દેશવાસીઓના ત્યાગ અને બલિદાનને નમન.
કેમ લગાવવામાં આવી હતી કટોકટી?
વાસ્તવમાં 12 જૂન, 1975ના રોજ અલાહાબાદ હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો. જેમાં ઈન્દિરા ગાંધીને રાયબરેલીના ચૂંટણી અભિયાનમાં સરકારી મશીનરીના દૂરુપયોગના દોષી ગણવામાં આવ્યા. ત્યારબાદ એ ચૂંટણીને ફગાવી દેવામાં આવી. સાથે જ ઈન્દિરા ગાંધીના 6 વર્ષ સુધી ચૂંટણી લડવા કે કોઈ પદને સંભાળવા પર રોક લગાવી દેવામાં આવી. તેના વિરોધમાં ઈન્દિરા ગાંધી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અને 25 જૂન, 1975ના રોજ ત્યાંથી પણ તેમને ઝટકો લાગ્યો. જો કે, સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટના આદેશને યોગ્ય ગણાવ્યો પરંતુ તેમને પદ પર યથાવત રહેવાની મંજૂરી આપી. ત્યારબાદ દેશભરમાં વિરોધનો સિલસિલો શરૂ થયો જેને કચડવા માટે ઈન્દિરા ગાંધીએ બંધારણની કલમ 352 હેઠળ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દીધી.