જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર, 2 આતંકી ઠાર!
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. અત્યાર સુધી આ ઓપરેશનમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે.
જમ્મુ : જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. અત્યાર સુધી આ ઓપરેશનમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીરના IGPએ કહ્યું છે કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બંને આતંકીઓ પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધિત છે. જણાવી દઈએ કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જઈ રહ્યા છે. આ સ્થિતિમાં આતંકવાદી સંગઠન સતત ઘાટીમાં મોટા હુમલાની શોધમાં છે. પરંતુ સુરક્ષા દળોની તત્પરતાએ તેમની યોજનાને બરબાદ કરી દીધી છે.
સુરક્ષા દળોને દક્ષિણ કાશ્મીરના કુલગામના મીરહામામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કર્યો હતો, જે બાદ અથડામણ શરૂ થઈ હતી. આઈજીપીના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા છે. આ સિવાય તેમની પાસેથી 2 એકે રાઈફલ, 7 મેગેઝીન, 9 ગ્રેનેડ મળી આવ્યા છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.
આ પહેલા શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળો સાથે 36 કલાક સુધી ચાલેલી અથડામણમાં ત્રણ લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમાં આ આતંકી સંગઠનનો ટોપ કમાન્ડર યુસુફ કંત્રુ પણ હતો. અગાઉ પોલીસે દાવો કર્યો હતો કે બારામુલ્લામાં એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા, પરંતુ એન્કાઉન્ટર સ્થળ પરથી ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. ગુરુવારે એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર યુસુફ કંત્રુ સહિત બે આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે અન્ય એક આતંકવાદી શુક્રવારે માર્યો ગયો હતો.