કોરોના વાયરસઃ બપોરે 12 વાગે એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ થશે વુહાન રવાના
આજથી સેન્ટ્રલ ચીનના વુહાનથી ભારતીયોને બહાર લાવવાની પ્રક્રિયા શરૂ થશે.
ચીનમાં કોરોના વાયરસ ખતરનાક થતો જઈ રહ્યો છે અને 200થી વધુ લોકોનો જીવ લઈ ચૂક્યો છે. આ વાયરસના પ્રકોપને જોતા ભારત સરકારે એ ભારતીયોને વુહાનથી ઈવેક્યુએટ કરવાનુ મન બનાવી લીધુ છે જે વુહાનમાં છે અને દેશમાં પાછા આવવા ઈચ્છે છે. આજથી સેન્ટ્રલ ચીનના વુહાનથી ભારતીયોને બહાર લાવવાની પ્રક્રિયા શરૂ થશે. અહીં 600થી વધુ ભારતીયોએ દેશમાં પાછા આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

મોડી રાતે બે વાગે પાછુ આવશે એરક્રાફ્ટ
શુક્રવારે પહેલી ફ્લાઈટથી લગભગ 400 ભારતીયોને વુહાન અને આસપાસના વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવશે. ત્યારબાદ બીજા એરક્રાફ્ટને હુબેઈમાં ભારતીયોને બહાર લાવવા માટે રવાના કરવામાં આવશે. એર ઈન્ડિયાના પ્રવકતા તરફથી પણ આ અંગેની પુષ્ટિ કરવામાં આવી છે. એર ઈન્ડિયાના સીએમડી અશ્વિની લોહાનીએ જણાવ્યુ છે, ‘આજે વુહાનથી ઓછાં ઓછા 400 ભારતીયોને બહાર લાવવામાં આવશે. ફ્લાઈટ બપોરે 12 વાગે ટેક ઑફ કરશે. અને મોડી રાતે બે વાગ્યા સુધી પાછી આવશે. વિદેશ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય તરફથી મુસાફરોને પહોંચ્યા બાદ બાકીની વ્યવસ્થા કરવામાં આવશે.'

600 ભારતીયો પાછા આવવા ઈચ્છે છે દેશમાં
વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે પણ ગુરુવારે રૂટીન પ્રેસ બ્રીફિંગમાં પુષ્ટિ કરી હતી કે, ‘ચીનની સરકાર સાથે ભારતીયોને બહાર લાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યુ હતુ, અમે ચીની સરકાર પાસે બે એરક્રાફ્ટને ઑપરેટ કરવાની અનુમતિ માંગી છે. અમે મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.' રવીશ કુમારે જણાવ્યુ હતુ કે સરકારે હુબઈ પ્રાંતમાં હાજર 600 ભારતીયોનો સંપર્ક કર્યો છે. વાયરસ ચીનના વુહાનથી નીકળ્યો છે અને અત્યાર સુધી 18 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.

દૂતાવાસે ભારતીયોને આપી માહિતી
ગુરુવારે સાંજે ચીનમાં ભારતીય દૂતાવાસ તરફથી વી ચેટ પર ભારતીયોને મેસેજ આપવામાં આવ્યો હતો. આ મેસેજમાં કહેવામાં આવ્યુ હતુ કે શુક્રવારે સાંજે વુહાનથી નાગરિકોની એર ઈવેક્યુએશનની તૈયારી છે. આ ફ્લાઈટમાં એ ભારતીય નાગરિકોને જગ્યા આપવામાં આવશે જે વુહાનમાં કે તેની આસપાસમાં છે. મેસેજમાં એ પણ કહેવામાં આવ્યુ હતુ કે હુબઈ પ્રાંતના બીજા ભાગોમાં પણ રહેતા ભારતીયોને પણ બહાર લાવવામાં આવશે. અત્યાર સુધીમાં આ વાયરસના કારણે 200થી વધુ લોકા મોત ચીનમાં થઈ ચૂક્યા છે. 9000થી વધુ લોકો સંક્રમણનો શિકાર છે. ભારતના કેરળમાં પણ ગુરુવારે એક કેસ પોઝિટિવ જોવા મળ્યો છે. વુહાનમાં છેલ્લા એક અઠવાડિયાથી લૉક ડાઉનની સ્થિતિ છે.

14 દિવસ સુધી અલગ રહેશે ભારતીય
દૂતાવાસના મેસેજથી એ સ્પષ્ટ થઈ ગયુ હતુ કે ચીન તરફથી ભારતના નાગરિકોના ઈવેક્યુએશનની મંજૂરી આપી દેવામાં આવી છે. દૂતાવાસે હુબેઈમાં ભારતીયોને ચેતવણી આપી છે કે ઈવેક્યુએશનમાં કોઈ ફેરફાર પણ થઈ શકે છે અને એટલા માટે બધા આના માટે તૈયાર રહે. દૂતાવાસે આ પહેલા ભારતીયોને કહ્યુ હતુ કે ભારત પહોંચ્યા બાદ તે 14 દિવસ સુધી અલગ રહેવા માટે તૈયાર રહે.












Click it and Unblock the Notifications
