2019ની હાર બાદ પણ આ લોકસભા બેઠક પરથી લડી શકે છે રાહુલ ગાંધી
રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણી ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી લડશે, તેવો દાવો ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નેતા અજય રાયે કર્યો છે. રાહુલ આ સીટ પર 2019 લોકસભાની ચૂંટણીમાં હારી ગયા હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2024ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠક પરથી લડશે. ઉલ્લેખનીય છે કે, 2019 પહેલા સુધી નહેરૂ-ગાંધી પરિવારનો આ ગઢ માનવામાં આવતો હતો. આ દાવો ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના નેતા અજય રાય દ્વારા કરવામાં આવ્યો છે.
અજય રાય ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે, તેમણે જણાવ્યું હતું કે, તેમની અમેઠીના લોકોને અપીલ છે કે, રાહુલ ગાંધીને મોટા માર્જીનથી જીતાડીને સંસદમાં મોકલો. 2019 લોકોસભાની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની સામે ચૂંટણી હારતા પહેલા સુધી રાહુલ ગાંધી સતત 3 વાર લોકસભામાં અમેઠીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. હાલ તેઓ કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી સાંસદ છે.
રાહુલ ગાંધી 2024માં અમેઠી લોકસભા બેઠક પરથી લડશે ચૂંટણી - કોંગ્રેસ નેતા
ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નેતા અજય રાયે અમેઠીમાંથી રાહુલના ચૂંટણી લડવા અંગે વાત કરતા પત્રકારોને જણાવ્યું હતું કે, અમેઠીમાં ગાંધી-નેહરુ પરિવારનો જૂનો સંબંધ છે. આ સંબંધને કોઈ નબળો પાડી શકે નહીં. રાહુલ ગાંધી 2024માં અમેઠીથી ચૂંટણી લડશે.
આ પહેલા કોંગ્રેસના કોઈપણ નેતાએ રાહુલના અમેઠીથી આગામી ચૂંટણી લડવા અંગે કોઈ નિવેદન આપ્યું નથી. રાહુલે 2004, 2009 અને 2014માં અમેઠીથી લોકસભા ચૂંટણી જીતી છે. જોકે, 2019 માં તેઓ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા.
'ભારત જોડો યાત્રા' 3-4 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરશે
રાહુલ ગાંધી પહેલા તેમની માતા સોનિયા ગાંધી અને પિતા રાજીવ ગાંધી પણ અમેઠી લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
અજય રાયે પોતે 2014 અને 2019 માં વારાણસીથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બંને વખતભારે માર્જિનથી પરાજય થયો હતો.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અંગે તેમણે જણાવ્યું છે કે, તે આવતા વર્ષે 3 કે 4 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરશે. કોંગ્રેસની આ યાત્રા હાલ રાજસ્થાનમાં છે.
ઉત્તર પ્રદેશમાં પ્રાદેશિક પ્રવાસ પણ કરી રહી છે કોંગ્રેસ
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા પહોંચે તે પહેલા 6 પ્રદેશોમાં આવી જ પ્રદેશ યાત્રા કાઢવામાં આવી રહી છે. દરેક પ્રદેશ માટે અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે.
11 ડિસેમ્બરના રોજ, રાયના નેતૃત્વમાં સમાન પ્રાદેશિક યાત્રા પ્રયાગરાજથી શરૂ થઈ હતી, જે કૌશામ્બી અને પ્રતાપગઢ થઈને બુધવારના રોજ અમેઠી પહોંચી હતી. આ પ્રસંગે તેમની સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ સિંઘલ અને પૂર્વ એમએલસી દીપક સિંહ પણ હાજર હતા.
અમેઠી બાદ પ્રાદેશિક યાત્રા સુલતાનપુર પહોંચશે અને બાદ જૌનપુર, મિર્ઝાપુર, ચંદૌલી, ભદોહી, સોનભદ્રમાંથી પસાર થશે અને અંતે 22 ડિસેમ્બરના રોજ વારાણસીમાં સમાપ્ત થશે.
'વેપારીઓ તેમની દુકાનો છોડીને ભાગી રહ્યા છે
અજય રાયનો આરોપ છે કે, ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન દરેક જગ્યાએ તણાવ છે. તેમણે આરોપ લગાવ્યો કે, વેપારીઓ તેમની દુકાનો છોડીને ભાગી રહ્યા છે.
રાહુલજીએ જીએસટીને ગબ્બર સિંહ ટેક્સ કહ્યો હતો, આજે તે સાચો સાબિત થયો છે. જીએસટીને લઈને વેપારીઓમાં ભય છે. જે વેપારીઓ લાંબા સમયથી ભાજપને સમર્થન આપી રહ્યા હતા, તેઓને હેરાન કરવામાં આવી રહ્યા છે.
તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આરોપ લગાવ્યો કે, મુખ્યમંત્રી કહે છે કે, ચોરો સામે કાર્યવાહી થવી જોઈએ. તેનો અર્થ એ છે કે, આજે વેપારીઓ 'ચોર' બની ગયા છે.