FB પોસ્ટ મામલે બંને યુવતીઓ સામે કેસ બંધ કરતી કોર્ટ
શિવસેના પ્રમુખ બાલા સાહેબ ઠાકરેના અવસાન બાદ પાલઘરની રહેવાસી શાહીન ઢાડા નામની છોકરીએ ફેસબુક પર કોમેન્ટ કરી હતી. ત્યારબાદ શિવસૈનિકોએ તેના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને તેના સંબંધીના નર્સિંગ હોમમાં તોડફોડ કરી હતી.
પોલીસે શાહીન ઢાડા અને તેની બહેનપણીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ આખા દેશમાં મહારાષ્ટ્ર સરકાર અને પોલીસની નિંદા થવા લાગી તો બંનેને છોડી મુકવામાં આવી હતી. બાદમાં આ મુદ્દે મહારાષ્ટ્રમાં જોરદાર ચર્ચાનું સ્વરૂપ ધારણ કર્યું હતું.
શિવસેનાના પાલઘર યુનિટના સભ્ય ભુષણ સાંખેએ આ બંને યુવતીઓ સામે પાલઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના પગલે અડધી રાત્રે બંને યુવતીઓની ધરપકડ કરવામાં આવી હતી. ભૂષણ સાંખેએ જણાવ્યું હતું કે યુવતીઓએ કરેલી પોસ્ટના કારણે રાજ્યમાં અશાંતિ ફેલાવાની શક્યતા હતી જેના પગલે તેમની સામે ફરિયાદ કરવી પડી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના પાલઘર ફેસબુક વિવાદ બાદ ચર્ચામાં આવેલા શાહીન ઢાડાના પરિવારે શિવસેનાના ડરથી મહારાષ્ટ્ર છોડી દીધું છે. મહારાષ્ટ્ર છોડી શાહીનનો પરિવારે ગુજરાતમાં શરણ લીધી છે અને ક્યારેય મહારાષ્ટ્ર પરત નહીં ફરવાનો નિર્ણય કર્યો છે.