ખેડૂત આંદોલન : ખેડૂતો 18 ફેબ્રુઆરીએ દેશભરમાં 'રેલ રોકો' આંદોલન કરશે
ખેડૂત આંદોલન : ખેડૂતો 18 ફેબ્રુઆરીએ દેશભરમાં 'રેલ રોકો' આંદોલન કરશે
ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોએ રેલવે રોકવાનો કૉલ આપ્યો છે.
ઇન્ડિયના ટૂડેના અહેવાલ મુજબ સંયુક્ત કિસાન મોરચાએ બુધવારે જાહેરાત કરી હતી કે પ્રદર્શનકારીઓએ 18 ફેબ્રુઆરીએ બપોરના 12 થી 4 વાગ્યા સુધી રેલ રોકોનો કૉલ આપ્યો છે.
સંયુક્ત મોરચાએ પોતાની પ્રેસ નોટમાં લખ્યું છે કે 14મી ફેબ્રુઆરીએ પુલવામા અટેકમાં મૃત્યુ પામેલા સૈનિકોના બલિદાનને સમ્માન આપવા કૅન્ડલ માર્ચ અને મશાલ જુલૂસ કાઢવામાં આવશે.
આ ઉપરાંત પ્રદર્શન કરી રહેલાં ખેડૂતોએ એમ પણ નક્કી કર્યું છે કે તેઓ જાટ નેતા સર છોટુ રામના જન્મદિન 16 ફેબ્રુઆરીએ પણ કાર્યક્રમનું આયોજન કરશે.
18 વર્ષથી ઓછી ઉંમરની મુસ્લિમ છોકરી લગ્ન કરી શકે છે : હાઇકોર્ટ
ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ અનુસાર પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે, મુસ્લિમ પર્સનલ લૉ અનુસાર મુસ્લિમ યુવતી કે જેની ઉંમર 18 વર્ષથી ઓછી છે પરંતુ તે પિરિયડ્સની અવસ્થામાં પ્રવેશી ચૂકી હોય, તો તે પોતાની મરજીની વ્યક્તિ સાથે લગ્ન કરવા સ્વતંત્ર છે.
પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ન્યાયમૂર્તિ અલકા સરીનની ખંડપીઠે વિવિધ કોર્ટના ચુકાદાઓ અને મુસ્લિમ પર્સનલ લૉ પર સર દિનશાહ ફરદુનજી મુલ્લાએ બનાવેલા કાયદાના પુસ્તક પ્રિન્સિપલ્સ ઑફ મોહમ્મદન લૉને ધ્યાનમાં રાખીને ચુકાદો આપ્યો છે.
કોર્ટે આ પુસ્તકના 195માં આર્ટિકલને ટાંકીને કહ્યું કે જ્યારે મુસ્લિમ છોકરીની ઉંમરના પુરાવા ન હોય ત્યારે 15 વર્ષ પૂર્ણ થાય પછી પુખ્ત અવસ્થા પ્રાપ્ત થઈ હોય તેમ માનવામાં આવે છે.
બેંચે વધુમાં જણાવ્યું કે, "પાગલ અને સગીર વયના બાળકોને તેમના સંબંધિત વાલીઓ દ્વારા લગ્નમાં યોગ્ય રીતે કરાર કરવામાં આવશે."
એક મુસ્લિમ યુગલે જાન્યુઆરી 25ના રોજ પંજાબ હરિયાણા હાઇકોર્ટમાં તેમના જીવને રક્ષણ આપવાની અને તેમના પરિવારથી આઝાદીની માગ કરી હતી.
વાત એમ હતી કે છોકરીએ 17 વર્ષની ઉંમરે લગ્ન કરી લેતા પરિવાર નારાજ થયો હતો. ઉપરાંત છોકરાની ઉંમર 36 વર્ષ અને છોકરીની ઉંમર 17 વર્ષ હતી. પરિવારને બંનેની ઉંમરમાં તફાવતને લઈને પણ વાંધો હતો.
કોર્ટે મુસ્લિમ કાયદા પ્રમાણે આ બંનેના લગ્નને ગ્રાહ્ય રાખ્યા હતા અને મોહાલીના એસએસપીને યોગ્ય પગલાં લેવા કહ્યું હતું.
- મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીની પ્રેમકહાણીને યોગી સરકારનો નવો કાયદો કઈ રીતે જુએ છે?
- પાસ અને કૉંગ્રેસના મતભેદથી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે?
સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસના મુખ્ય સાક્ષી સામે પાંચમો કેસ દાખલ
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર સોહરાબુદ્દીન શેખના કથિત એન્કાઉન્ટર કેસના મુખ્ય સાક્ષી રમણ પટેલ સામે પાંચમો કેસ નોંધાયો છે.
અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ સામે કેસ નોંધવામાં આવ્યો છે. એક વર્ષના સમયગાળામાં તેમની સામે પાંચ કેસ નોંધાયા છે.
પોલીસના કહેવા પ્રમાણે પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ અને તેમના દિકરાઓ સામે નવી ફરિયાદ નોંધવામાં આવ્યો છે.
થલતેજના સંદીપ પ્રજાપતિએ ફરિયાદ કરી હતી કે આરોપીએ 2017થી તેમનો પગાર આપ્યો નથી અને તેમની પાસેથી સંદીપને 12.3 લાખ રૂપિયા લેવાના નીકળે છે.
પ્રજાપતિએ દાવો કર્યો હતો કે પોપ્યુલર બિલ્ડર દ્વારા ચલાવવામાં આવતા એસબીઆર સોશિયલ ફૂડ કોર્ટમાં તેમને કામે રાખવામાં આવ્યા હતા.
રમણ પટેલ અને તેમના બે દીકરાઓ પર આઇપીસીની કલમ 406, છેતરપિંડીની કલમ 420 અને 506(2) મુજબ કેસ નોંધવામાં આવ્યો છે.
ફાસ્ટેગ વૉલેટમાં મિનિમમ રકમ રાખવાના નિર્ણયને નેશનલ હાઇવે ઑથોરિટીએ રદ્દ કર્યો
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર નેશનલ હાઇવે ઑથોરિટીએ ફાસ્ટેગ વૉલેટમાં મિનિમમ રકમ રાખવાની જોગવાઈને હઠાવવાની જાહેરાત કરી છે.
આ નિર્ણય લેવાનો હેતુ ઇલેક્ટ્રિક ટોલ પ્લાઝા બની રહે તેને સુનિશ્ચિત કરવાનો છે.
નેશનલ હાઇવે ઑથોરિટીએ પોતાના નિવેદનમાં કહ્યું, "ફાસ્ટૅગ એકાઉન્ટ અથવા વૉલેટમાં ફરજિયાત રકમ રાખવાની વાત કરવામાં આવી છે જેને પેસેન્જર સેગમેન્ટમાં વપરાશકર્તા સિક્યુરિટી ડિપૉઝિટ માટે યુઝ કરે છે તેને બંધ કરવામાં આવી છે."
વધુમાં કહ્યું કે "ફાસ્ટેગનો વપરાશ વધે, ટ્રાફિક ઝડપથી પાસ થઈ શકે અને ટોલ પ્લાઝા પર લાગતી વાર ઘટે તે માટે આ નિર્ણય લેવાય છે."
ચીને કહ્યું, પેંગોગ ત્સો સરોવર પરથી ભારત અને ચીનના સૈનિકોએ પરત ફરવાનું શરૂ કર્યું
બીબીસી હિન્દીના અહેવાલ અનુસાર ચીનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે ભારત અને ચીનની વચ્ચે થયેલી નવમા તબક્કાની સૈન્ય કમાન્ડર સ્તરની વાતચીતમાં બનેલી સહમતિ પ્રમાણે, બુધવારે પેંગોગ ત્સો સરોવરના દક્ષિણ અને ઉત્તર કિનારે ચીન અને ભારતીય સૈનિકોએ ડિસઍન્ગેજમેન્ટ પ્રોસેસની શરૂઆત કરી છે.
એક પ્રેસ કૉન્ફરન્સમાં એક સવાલના જવાબમાં સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, "બંને દેશોની વચ્ચે મૉસ્કોમાં વિદેશી મંત્રીઓ અને બંને દેશની વચ્ચે નવમા તબક્કાની સૈન્ય સ્તરની વાર્તામાં બનેલી સહમતિ અનુસાર સરહદ પર તહેનાત ચીન અને અમેરિકાના ભારતીય સૈનિકોએ 10 ફેબ્રુઆરીએ પ્લાન પ્રમાણે ડિસઍન્ગેજમેન્ટ શરૂ કર્યું. અમને આશા છે કે ભારત બંને દેશોની વચ્ચે થયેલી સહમતિ પ્રમાણે આ પ્રક્રિયાને યોગ્ય રીતે લાગૂ કરશે.
આ મુદ્દે ભારત તરફથી કાંઈપણ નિવેદન આવ્યું નથી.
https://www.youtube.com/watch?v=RcmR3n2H0ko
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો