RSS કાર્યાલયને બૉમ્બથી ઉડાવવાની વૉટ્સએપ પર મળી ધમકી, લખનઉમાં નોંધાઈ FIR
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(આરએસએસ)ના છ કાર્યાલયોને બૉમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.
લખનઉઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(આરએસએસ)ના છ કાર્યાલયોને બૉમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આ ધમકી એક વૉટ્સએપ ગ્રુપ પર મળી છે. ધમકી મળ્યા બાદ લખનઉના મડિયાંવ પોલિસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધીને કેસની તપાસ શરુ કરી દેવામાં આવી છે. પોલિસનુ કહેવુ છે કે ધમકી આપનાર લોકો વિશે માહિતી મેળવવામાં આવી રહી છે, જલ્દી આરોપીઓને પકડી લેવામાં આવશે.
અહેવાલો મુજબ આ ધમકી સોમવારે રાત્રે લગભગ 8 વાગ્યે વૉટ્સએપ દ્વારા મળી છે. આ ધમકીભર્યા મેસેજમાં લખનઉમાં 2 ઓફિસ અને કર્ણાટકમાં 4 ઓફિસને ઉડાવી દેવાની વાત કહેવામાં આવી છે. આ ધમકી કન્નડ, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં અલ અન્સારી ઇમામ રઝી ઉન મહેંદી નામનુ વૉટ્સએપ ગ્રુપ બનાવીને આપવામાં આવી છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે અલ ઇમામ અંસાર રાઝી ઉન મહેંદી નામના ગ્રુપમાં આરએસએસનો એક કાર્યકર ઈનવાઈટ લિંક દ્વારા જોડાયો હતો.
આ વોટ્સએપ ગ્રુપની ઈન્વાઈટ લિંક ઘણા ગ્રુપમાં શેર કરવામાં આવી રહી હતી જેના કારણે RSS કાર્યકર્તા પણ તેને ઓપન કરીને જોડાઈ ગયો. વૉટ્સએપ ગ્રુપમાં જોડાયા પછી કાર્યકર્તાએ જોયુ કે આ પદ્ધતિ પર ચર્ચા થઈ રહી છે. ત્યારબાદ તેણે અવધ પ્રાંતના એક અધિકારીને જાણ કરી. આ મામલાની નોંધ લેતા અવધ પ્રાંતના અધિકારીએ આરએસએસના ટોચના અધિકારીઓને જાણ કરી ત્યારબાદ સમગ્ર મામલાની માહિતી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે શેર કરવામાં આવી.
માહિતી મળ્યા પછી લખનઉ પોલીસ એક્શનમાં આવી ગઈ અને પોલીસની ટીમ લખનઉના અલીગંજ સેક્ટર ક્યૂ સ્થિત સરસ્વતી વિદ્યા મંદિર પહોંચી. અહીં પોલીસે તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત, RSSના અવધ પ્રાંતના ઘોષ પ્રમુખ પ્રોફેસર નીલકંઠ તિવારીની ફરિયાદ પર લખનઉના મડિયાંવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. લખનઉના મડિયાંવ પોલીસ સ્ટેશનના એસએચઓએ જણાવ્યુ કે આ મામલે કલમ 507 અને આઈટી એક્ટ 66 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.