લાલુ યાદવ અને જગદીશ શર્માનું લોકસભા સભ્યપદ ખતમ
નવી દિલ્હી, 22 ઓક્ટોબર : ચારા કૌભાંડ મામલે જેલની સજા ભોગવી રહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને લોકસભાએ સભ્યપદ માટે અયોગ્ય એટલેકે ગેરલાયક ઠેરવ્યા છે. આ કૌભાંડના અન્ય દોષિત જનતાદળ યુનાઇટેડના સાંસદ જગદીશ શર્માનું સભ્યપદ પણ ખતમ કરવામાં આવ્યું છે.
રાંચીની ખાસ અદાલતે ચારા કૌભાંડના મામલામાં લાલુને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. જગદીશ શર્માને ચાર વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી.

લાલુ પ્રસાદ અને 44 અન્ય લોકોને ચાઇબાસા કોષાગારમાંથી 1990ના દાયકામાં 37.7 કરોડ રૂપિયા નિકાળવાના કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. તે સમયે ચાઇબાસા અવિભાજિત બિહારનો એક ભાગ હતું.
ચાઇબાસા કોષાગારમાં નકલી બિલ આપીને 37.7 કરોડ રૂપિયા કાઢવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણ ત્યારે બહાર આવ્યું જ્યારે લાલુ પ્રસાદ યાદવે ધ્રુવ ભગત અને જગદીશ શર્માની સભ્યતાવાળી વિધાનસબા સમિતીને તેની તપાસ કરાવવાના આદેશ આપ્યા હતા.
આ કેસમાં શિવાનંદ તિવારી, સરયૂ રોય, રાજીવ રંજન સિંહ અને રવિશંકર પ્રસાદે પટણા હાઇકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરી હતી. પટણા હાઇકોર્ટે 11 માર્ચ, 1996ના રોજ 950 કરોડ રૂપિયાના કથિત ચારા કૌભાંડના મામલાની તપાસ સીબીઆઇને સોંપવાનો આદેશ આપ્યો હતો.












Click it and Unblock the Notifications
