ધમતારી, 12 એપ્રિલ : ગરીબોના ઘરની અવારનવાર મુલાકાત લેતા કોંગ્રેસાના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની મજાક ઉડાવતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગરીબી રાહુલ ગાંધી માટે પર્યટન સમાન છે.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે "શહેઝાદે (રાહુલ)" તમારા માટે ગરીબી પર્યટન જેવી છે. લોકો જે રીતે તાજ મહેલની મુલાકાત લે છે અને ફોટોગ્રાફ્સ પડાવે છે. તેવી જ રીતે તમે ગરીબોના ઘરોની મુલાકાત ટીવી કેમેરા સાથે કરો છો અને પછી દુનિયાને બતાવો છો. "
છત્તીસગઢની મહાસમુંદ લોકસભા બેઠકના ધમાત્રી વિસ્તારમાં ચૂંટણી સભાને સંબોધતા ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે "સામાન્ય જનતાને જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે અંગે કોંગ્રેસને કોઇ ચિંતા નથી. શહેઝાદાએ એકવાર તેમના ભાષણમાં જણાવ્યું હતું કે તેમને ગરીબો અંગેના મુદ્દા ઉઠાવવામાં આનંદ આવે છે. તેમને લાગે છે કે ગરીબી એ માનસિક સ્થિતિ છે. શું ખરેખર ગરીબી આનંદપ્રમોદની બાબત છે?"
રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમણે જણાવ્યું કે "જે વ્યક્તિ સોનાની ચમચી સાથે જન્મી હોય તેને ગરીબી શું છે તેની શું ખબર પડે? કોંગ્રેસે 2009ની ચૂંટણીઓમાં જણાવ્યું હતું કે 100 દિવસમાં મોંઘવારી ઘટાડીશું. આ વચન આજે પણ પૂરું કર્યું નથી."
"શહેઝાદા અને મેડમ સોનિયા આખા દેશમાં મારા કામની બાબત વિશે પૂછતા ફરે છે પણ પહેલા તેઓ પોતાનું કામ તો પૂરું કરી બતાવે. તેઓ એક બાબતનો જવાબ આપી શકતા નથી કે 2009માં જણાવ્યા છતાં શા માટે તેઓ ભાવવધારાને નિયંત્રણમાં લાવી શક્યા નથી."