દેશના છ મોટા શહેરોમાં ગૃહમંત્રાલયનું હાઇ એલર્ટ
પુણે વિસ્ફોટમાં પકડાયેલા ઇન્ડિયન મુજાહિદ્દિનના આતંકવાદી મકબુલની શુક્રવારે એનઆઇએએ તિહાર જેલમાં પાંચ કલાક સુધી પૂછપરછ કરી હતી. મકબુલે તપાસ એજન્સીઓને જણાવ્યું કે ઓક્ટોબર 2012માં રેકી કરયા પછી તેણે દિલસુખ નગર અને બેગમપેટ વિસ્તારના વીડિયો તૈયાર કરીને આઇએમના આતંકવાદી રિયાઝ અને યાસીન ભટકલને આપ્યા હતા. આતંકી બકાસ અને આઝમગઢના લાપતા તબરેઝની શોધખોળ કરવામાં આવી રહી છે.
હૈદરાબાદમાં 21 ફેબ્રુઆરીના રોજ થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં એક ઇજાગ્રસ્ત વ્યક્તિ શંકાના પરિઘમાં આવી ગઇ છે. તેની પાછળનું કારણ એ જણાવાઇ રહ્યું છે કે, 2007માં પણ જ્યારે હૈદરાબાદમાં વિસ્ફોટ થયો ત્યારે આ વ્યક્તિ ત્યાં હાજર હતી અને તેને ઇજા પહોંચી હતી. દિલસુખનગર ખાતે થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં બચી ગયેલા અબ્દુલ વસિફ મિર્ઝાને સારવાર અર્થે યશોદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. શુક્રવારે સાંજે હોસ્પિટલના સ્ટાફ તેને જોઇને ગયા બાદ પોલીસ ત્યાં પહોંચી હતી અને પૂછપરછ હાથ ધરી હતી. તેના પર શંકા ઉપજવા પાછળનું કારણ એ છે કે, આ બન્ને સ્થળે જ્યારે પણ વિસ્ફોટ થયાં ત્યારે તે ત્યાં ઉપસ્થિત હતો, અને તેણે ટીવી ચેનલને જણાવ્યું હતું કે તે કાલપથનગરથી દિલસુખનગર ખાતે ચા પીવા માટે આવ્યો હતો, જ્યારે કાલપથનગરથી દિલસુખનગર સાત કિમી દૂર આવેલું છે.