G-20 Summit : જાણો શું છે દિલ્હી ડિક્લેરેેશન? તમામ દેશો કેવી રીતે એક મુદ્દે સહમત થયા?
G-20 મંચ પરથી ભારત માટે એક પછી એક સારા સમાચાર આવી રહ્યા છે. આ ક્રમમાં જ ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. સમિટના પહેલા દિવસે જ G-20 દિલ્હી ડિક્લેરેશનને મંજુરી મળી છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગયા વર્ષે ઈન્ડોનેશિયા 𝐆𝟐𝟎 સમિટમાં સંયુક્ત ઘોષણા પર સહમતિ નહોતી થઈ શકી. આ સ્થિતિમાં ભારતની અધ્યક્ષતામાં દિલ્હી સમિટમાં થયેલી સર્વસંમતિ પ્રશંસનીય મનાય છે.

નવી દિલ્હી ડિક્લેરેશનમાં કહેવાયુ છે કે, યુક્રેન યુદ્ધ અંગે બાલીમાં યોજાયેલી ચર્ચાઓને પુનરાવર્તિત કરતા અમે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઠરાવ પર અમારી રાષ્ટ્રીય સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો અને ભાર મૂક્યો કે તમામ દેશોએ ચાર્ટરના હેતુઓ અને સિદ્ધાંતો અનુસાર સંયુક્ત રાષ્ટ્રને સહકાર આપવો જોઈએ.
યુએન ચાર્ટર અનુસાર, તમામ દેશોએ પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ અથવા અન્ય કોઈપણ રાજ્યની રાજકીય સ્વતંત્રતા વિરુદ્ધ પ્રાદેશિક અધિગ્રહણ અથવા બળના ઉપયોગ અથવા ધમકીથી દૂર રહેવું જોઈએ. પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અથવા ઉપયોગની ધમકી અસ્વીકાર્ય છે.
દિલ્હી ડિક્લેરેશન અંગે G20 શેરપા અમિતાભ કાંતે કહ્યું કે, નવી દિલ્હી ડિક્લેરેશન પર સભ્ય દેશો સાથે 200 કલાક ચર્ચા કરવામાં આવી. આ માટે રશિયા અને ચીન સાથે લાંબી અલગ-અલગ વાતચીત થઈ અને ત્યારબાદ શુક્રવારે રાત્રે અંતિમ ડ્રાફ્ટ પર સહમતિ બની.
અમિતાભ કાંતે કહ્યું કે, યુક્રેન પર સર્વસંમતિ બની, જે G20ના તમામ દેશોને પ્રાદેશિક અધિગ્રહણ માટે બળના ઉપયોગથી દૂર રહેવા વિનંતી કરે છે પરંતુ રશિયાનું નામ નથી. લગભગ 200 કલાકની સતત વાતચીત બાદ તમામ તેના પર સહમત થયા.
મીડિયા સાથે વાત કરતા અમિતાભ કાંતે કહ્યું કે, ભારતની અધ્યક્ષતા G-20ના ઈતિહાસમાં સૌથી મહત્વાકાંક્ષી રહ્યું છે. 112 પરિણામો અને રાષ્ટ્રપતિના દસ્તાવેજો સાથે અમે અગાઉના અધ્યક્ષો કરતા ત્રણ ગણા વધુ મહત્વપૂર્ણ કામ કર્યું છે.
તેમણે કહ્યું કે, ઘોષણાપત્રમાં યુક્રેન મુદ્દે સર્વસંમતિને ટાળવામાં આવી રહી છે. પરંતુ આ નવી દિલ્હી ઘોષણા પર તમામ સભ્ય દેશોની 100 ટકા સંમતિ છે.
જણાવી દઈએ કે, યુક્રેન સંઘર્ષ પર સર્વસંમતિના અભાવને કારણે ભારતે શુક્રવારે ભૌગોલિક રાજનીતિ પરનો ફકરો ખાલી રાખ્યો, જેથી તેના પર કોઈ વિવાદ ન થાય.












Click it and Unblock the Notifications
