ગુજરાતમાં ભાજપના પ્રચારકોમાં ગડકરીનો સમાવેશ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં ચૂંટણી પ્રચાર માટે ગુજરાતના મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપ તેમના સ્ટાર પ્રચારકો ઉતારવાના છે. ગુજરાતમાં આ રાજકીય સ્ટાર પ્રચારકો ડિસેમ્બરથી પોતાનો પ્રચાર શરૂ કરશે અને સભાઓ ગજવશે. પણ ક્યા પ્રચારકો આવશે તેની ચર્ચાઓ અને અટકળોનો અંત લાવતા ભાજપે પોતાના રાષ્ટ્રીય નેતાઓની યાદી જાહેર કરી છે જે ગુજરાતમાં પ્રચાર માટે આવશે.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીના તાજેતરના વિવાદોને ભૂલાવી તેઓને પણ પ્રચાર માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત એલ કે અડવાણી, શાહનવાઝ હુસૈન અને મઉખ્તાર અબ્બાસ નકવીનો સમાવેશ થાય છે. તેઓ 1 અને 2 ડિસેમ્બરથી ગુજરાત ભરમાં વિવિધ રેલીઓ ગજવશે.
તાજેતરના વિવાદોમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કેમિસ્ટ્રીમાં કોઇ તાલમેલ જોવા મળી રહ્યો નથી. આ વિવાદ વર્ષની શરૂઆતમાં મુંબઇ ખાતે મળેલી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સંજય જોશીને દૂર રાખવાની મોદીની ઇચ્છાને ગડકરીએ માન ન આપ્યું હોવાને કારણે સર્જાઇ હતી. આ કારણે ગડકરી અને મોદીના સંબંધોમાં તિરાડ પડી હતી.