આદિત્ય સચદેવ હત્યાંકાડ: રૉકી યાદવની દબંગાઇનો અંત
આદિત્ય સચદેવ હત્યાકાંડ પર ગયા જિલ્લા અદાલતનો ચુકાદો
બિહાર સ્થિત ગયામાં 7 મે, 2016ના રોજ થયેલ આદિત્ય સચદેવ હત્યાકાંડ પર ગુરૂવારે ગયા જિલ્લા અદાલત દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. અદાલતે રૉકી યાદવ સહિત 3ને દોષી ઠરાવ્યા છે. રૉકી યાદવ જનતા દળ યુનાઇટેડના નિષ્કાસિત એમએલસી મનોરમા દેવી અને દબંગ બિંદી યાદવનો પુત્ર છે. આદિત્ય સચદેવને રોડ પર ગોળી મારી તેની હત્યા કરવામાં આવી હતી. રોડ પર સચદેવે રૉકીને સાઇડ નહીં આપતા રૉકીએ તેને ગોળી મારી હતી. આ ઘટનાના લગભગ 16 મહિના બાદ આવેલ અદાલતના ચુકાદા પર આદિત્ય સચદેવના પરિવારજનોને ખૂબ આશા હતી.
6 સપ્ટેમ્બરે મળશે સજા
આ મામલે 6 સપ્ટેમ્બરના રોજ રૉકી સહિત ત્રણેય આરોપીઓને અદાલત સજા સંભળાવશે. રૉકી યાદવની સાથે ટોની યાદવ અને એક અંગરક્ષક પણ આરોપી હતા. ચુકાદા પહેલાં ટોની અને અંગરક્ષક બંને જામીન પર જેલની બહાર હતા, રૉકી યાદવ જેલમાં હતો. 7 મે, 2016ની રાતે 17 વર્ષીય આદિત્ય સચદેવ પોતાના ચાર મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરી પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી આવી રહેલ એસયુવીમાં સવાર રૉકી યાદવે આગળ જવા માટે સાઇડ માંગી હતી. આદિત્ય સચદેવે સાઇડ ન આપતાં રૉકી યાદવે આદિત્ય અને તેના મિત્રોની ગાડી થોભાવી આદિત્યને ગોળી મારી દીધી હતી.
સંઘર્ષ બાદ મળ્યો ન્યાય
આદિત્યના મિત્રો આયુષ, અંકિત, નસીર અને કૈફીએ આ ઘટના બાદ કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સામે નિવેદન આપ્યું હતું. ચારેય યુવકોએ પોતાના નિવેદનમાં રૉકી યાદવે આદિત્યની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. પરંતુ ત્યાર બાદ 15 દિવસની અંદર જ તેમણે પોતાના નિવેદન બદલી કાઢ્યા હતા. એટલું જ નહીં, ઘટનાસ્થળે હાજર પોલીસ કોન્સ્ટેબલ સુનીલે પણ પોતાનું નિવેદન પછીથી બદલી કાઢ્યું હતું. જો કે, આદિત્યની માતાને છેલ્લે સુધી ખાતરી હતી કે, અદાલત દ્વારા તેમને ન્યાય મળશે. આદિત્ય સચદેવના માતા-પિતાએ રૉકી યાદવને ફાંસી આપવાની માંગણી કરી હતી.
દબંગ યાદવ પરિવાર
7મી મેની એ રાત્રે રૉકી યાદવે કરેલ ગુનાની સાથે જ યાદવ પરિવારના સામ્રાજ્યના વિનાશની શરૂઆત થઇ હતી. એમએલસી મનોરમા દેવી અને તેમના પરિવારનો રૂઆબ, સન્માન, બાહુબળ બધું તેમના પતિ બિંદેશ્વરી યાદવ ઉર્ફે બિંદી સાથે જેલમાં બંધ થઇ ગયા, તેમના પુત્ર રૉકી યાદવને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો અને મનોરમા દેવીને જદયુમાંથી 7 વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા હતા. ધરપકડના ડરથી મનોરમા દેવી પણ છુપાઇને રહેવા લાગી હતી. આખરે મનોરમા દેવીએ પણ કોર્ટ આગળ શરણાગતિ સ્વીકારવાનો વારો આવ્યો હતો, કારણ કે ગયા પ્રશાસન દ્વારા તેમના નિવાસ સ્થાનેથી મોંઘા વિદેશી દારૂની 8 બોટલો જપ્ત કરવામાં આવી હતી. આ મામલે કડક કાર્યવાહી કરતાં મનોરમા દેવીના ઘરની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
બિંદેશ્વરી યાદવનું બાહુબળ સામ્રાજ્ય 'બિંદી રાજ'
જનતા દળ યુનાઇટેડના નિષ્કાસિત એમએલસી મનોરમા દેવીના પતિ બિંદેશ્વરી યાદવ ઉર્ફે બિંદી યાદવનો રાજકારણમાં અલગ જ રૂઆબ હતો. દેશદ્રોહના આરોપી બિંદી યાદવને જિલ્લા સરકાર દ્વારા સુરક્ષા આપવામાં આવી હતી, આના પરથી બિંદી યાદવના રૂઆબનો ખ્યાલ આવે છે. તેઓ ડિસ્ટ્રીક્ટ કાઉન્સેલર ચેરમેન પણ રહી ચૂક્યાં છે. તેમની વિરુદ્ધ ડઝનબંધ લૂંટ, હત્યા, અપહરણ અને દેશદ્રોહના કેસો નોંધાયા છે. ઝારખંડના વિસ્તારમાં તેમને એન્ટ્રી માફિયાના નામે ઓળખવામાં આવે છે. બિંદી યાદવ અને તેમના ગુંડાઓ ઝારખંડથી આવતી ટ્રકો પાસે ગેરકાયદેસર રીતે લાખો રૂપિયા ઉઘરાવતા હતા. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2001માં સીઆરપીએફ અને બિહાર પોલીસના નેતૃત્વ હેઠળ બિંદી યાદવને ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં મોટી માત્રામાં પ્રતિબંધિત હથિયાર અને કારતૂસ મળી આવ્યા હતા.
મનોરમા દેવીએ રાજકારણના ધુરંધરને આપી હતી માત
તો બીજી બાજુ ગયાના એમએલસી મનોરમા દેવીએ રાજકારણના ધુરંધર કહેવાતા અનુજ કુમાર સિંહને હરાવીને રાજકારણમાં પોતાની ઓળખાણ બનાવી હતી. પરંતુ રૉકીની એક ભૂલના કારણે બિંદી યાદવ અને મનોરમા દેવીના સામ્રાજ્ય પર પાણી ફરી વળ્યું. આદિત્ય સચદેવ હત્યાકાંડ બાદ જદયુના પ્રદેશ અધ્યક્ષ દ્વારા મનોરમા દેવીને પાર્ટીમાંથી 7 વર્ષ માટે નિષ્કાસિત કરવામાં આવ્યા હતા. આ હત્યાકાંડના વિરોધમાં શહેરીજનોએ રસ્તા પર પ્રદર્શનો કર્યા હતા. તે પછી મુખ્ય આરોપી રૉકી અને તેના બિંદી યાદવની ધરપકડ કરવામાં આવી હતી. તેના અનેક મહિના બદ મનોરમા દેવીને પણ જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો.
હથિયારોના શોખીન રૉકી
આદિત્ય સચદેવ હત્યાકાંડનો મુખ્ય આરોપી રાકેશ રંજન યાદવ ઉર્ફે રૉકી એક ઉમદા અને ટ્રેઇન્ડ નિશાનેબાજ છે. તેની તસવીરો પરથી ખબર પડે છે, તે પોતાના હથિયારો દ્વારા પોતાના અને પોતાના પરિવારના રૂઆબનું પ્રદર્શન કરતો હતો. તેને હથિયારોનો ખૂબ શોખ છે. તેના પર લગભગ એક ડઝન જેટલાં ખંડણી, મારપીટ, ગુંડાગીરીના કેસ નોંધાયા છે.