ગોધરા રમખાણો : IUMLના ધારાસભ્યે નરેન્દ્ર મોદીને આપી ક્લીન ચીટ

કેરળમાં આવેલા પનૂરમાં આઇયુએમએલની એક બેઠકને સંબોધન કરતા બુધવારે ત્યાંના ધારાસભ્ય કેએમ શાજીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભાજપનો હિન્દુત્વનો એજન્ડા અમલી બનાવવાનો પ્રયત્ન કર્યો નથી.
સાજીના જણાવ્યા અનુસાર મુસ્લિમોની હત્યાઓ માટે મોદીને દોષિત ગણાવી શકાય નહીં. પોતાની વાત આગળ જણાવતા તેમણે એમ પણ જણાવ્યું કે નરેન્દ્ર મોદી એક પણ મસ્જિદના ખંડનમાં ભૂમિકા ભજવી નથી. ધારાસભ્યએ કેટલાક માનવાધિકાર આંદોલનકારીઓને ટાંકતા જણાવ્યું કે ગુજરાતના રમખાણો કેટલાક અગ્રણી બિઝનેસમેન્સે કરાવ્યા હતા.
શાજીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે વર્ષ 2002ના રમખાણો ફાટી નીકળ્યાને વધારે સમય નહોતો થયો છતાં પણ કેટલાક મોટા ઉદ્યોગગૃહોએ ગુજરાતમાં પોતાની દુકાનો શરૂ કરી હતી. ગુજરાતના મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચેની સદભાવના તરફ નિર્દેશ કરતા તેમણે જણાવ્યું કે ગુજરાતમાં લધુમતી કોમના સભ્યો મોદીના સારા સંચાલનની પ્રસંશા કરે છે.
છેલ્લા એક દાયકામાં ગુજરાતે વિકાસના ક્ષેત્રમાં હરણફાળ ભરી છે. ગુજરાત જેવો વૃદ્ધિદર પ્રાપ્ત કરવા માટે દેશના અન્ય રાજ્યો પણ ગુજરાતના પગલે આગળ વધવા માંગે છે.
નોંધપાત્ર બાબત એ છે કે શાજીએ જ્યારે નરેન્દ્ર મોદીને ગોધરા રમખાણો મુદ્દે ક્લીન ચીટ આપી ત્યારે આઇયુએમએલના અનેક નેતાઓ મંચ પર ઉપસ્થિત હતા, આમ છતાં પોતાના રાજકીય પ્રતિસ્પર્ધી સામે તેમાંથી કોઇ પણ એક શબ્દ બોલ્યું ન હતું. મહત્વની બાબત એ છે કે અત્યાર સુધી આઇયુએમએલ દ્વારા ભાજપની ટીકા કરવાની એક પણ તક જતી કરવામાં આવી નથી.
આ સમગ્ર ઘટનાક્રમથી એમ લાગી રહ્યું છે કે વડાપ્રધાન પદના ઉમેદવારની રેસમાં નરેન્દ્ર મોદી સૌથી આગળ છે. તેમના વિરોધી પક્ષોમાંથી પણ એક પછી એક તેમની તરફેણમાં આવી રહ્યા છે.
આ સમગ્ર બાબત નરેન્દ્ર મોદી માટે આવનારી અનેક સકારાત્મક બાબતોને સંકેત આપે છે. આ સામે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અનેકવાર ધમકીઓ આપી ચૂક્યા છે કે વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીનું નામ આગળ કરવામાં આવશે તો તે એનડીએ સાથે છેડો ફાડી નાખશે. શાજીની ટિપ્પણી એમ દર્શાવે છે કે રાજકારણમાં કોઇ પણ વ્યક્તિ લાંબા ગાળા સુધી દુશ્મન રહેતી નથી. નરેન્દ્ર મોદીને પણ એક દિવસ નીતિશ કુમારનું પીઠબળ મળી રહેશે.












Click it and Unblock the Notifications
