Gonda Train Accident: આ કારણે સર્જાયો હતો ગોંડા ટ્રેન અકસ્માત, તપાસમાં ખુલાસો થયો
Gonda Train Accident : નરેન્દ્ર મોદી સરકારમાં એક પછી એક ટ્રેન અકસ્માત સર્જાઈ રહ્યાં છે. હાલમાં જ ગોંડા ટ્રેન અકસ્માત સર્જાયો હતો. હવે આ અકસ્માતનું કારણ સામે આવ્યુ છે.
ઉત્તર પ્રદેશના ગોંડામાં ગુરુવારે થયેલી ટ્રેન દુર્ઘટના બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. આ અકસ્માતની પ્રાથમિક તપાસ બાદ અધિકારીઓએ ટ્રેન પાટા પરથી ઉતરવાનું કારણ જણાવ્યું છે. અધિકારીઓને આશંકા છે કે આ દુર્ઘટના ટ્રેનના પાટા અને બોગીને નુકસાન થવાને કારણે થઈ.

જણાવી દઈએ કે ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસ ગુરુવારે પાટા પરથી ઉતરી ગઈ હતી, આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. અકસ્માત બાદ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે, રેલવે અધિકારીઓએ હજુ સુધી આ અકસ્માતના કારણ વિશે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.
રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમને શંકા છે કે રેલવે ટ્રેક અને બોગીમાં કોઈ ખામીના કારણે આ ઘટના બની હશે. હજી સુધી અમને અન્ય કોઈ ખામીઓ મળી નથી. તપાસમાં જાણવા મળશે કે આ કેવી રીતે થયું, કારણ કે રેલ્વે ટ્રેક અને બોગીની જાળવણીનું કામ નિયત કેલેન્ડર મુજબ નિયમિત રીતે હાથ ધરવામાં આવે છે.
તપાસમાં એ પણ જાણવા મળશે કે મેઇન્ટેનન્સ ટીમ પોતાની ફરજ બજાવી રહી હતી કે નહીં. તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોચ પાટા પરથી ઉતર્યા બાદ તરત જ પલટી ગઈ હતી. જો કે રેલવે અધિકારીઓએ હજુ સુધી કોઈ પુષ્ટિ કરી નથી.
રેલ્વે સૂત્રોએ જણાવ્યું કે, લોકો પાયલોટ ત્રિભુવને ઈમરજન્સી બ્રેક લગાવતા પહેલા વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો, જેના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટના બાદ રેલવેએ તેની તપાસમાં ષડયંત્રના પાસા પર વિચારણા શરૂ કરી દીધી છે. કમિશનર ઓફ રેલ્વે સેફ્ટીને આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
કેન્દ્રીય પર્યાવરણ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા પાંચ મુસાફરોને વધુ સારવાર માટે લખનઉ રિફર કરવામાં આવ્યા છે.
રેલ્વેએ દુર્ઘટનાથી પ્રભાવિત લોકો માટે વળતરની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 2.5 લાખ રૂપિયા અને અન્ય ઘાયલ મુસાફરોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
